કચ્છનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું, પીએમ નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું

ધોરડો, કચ્છઃ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. જે ગુજરાત માટે ખરેખર ગૌરવની વાત છે.
દરેક ઘરમાં વાર્ષિક ₹16 હજારથી વધુનો લાભ
પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટના કારણે ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે.
વીજ વપરાશકર્તાને વાર્ષિક 16,064 રૂપિયાનો આર્થિક લાભ થશે
આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂપિયા 16,064 નો આર્થિક લાભ થશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ રૂપિયા 13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે.
સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશેઃ સરપંચ
આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, ‘ ધોરડો છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે’.
આપણ વાંચો: માતાના મઢ જવા નીકળેલા વડોદરાના યુવકે સેવા કેમ્પમાં કરી આત્મહત્યા, કારણ અકબંધ