સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામનું શરમજનક પ્રદર્શન; રાષ્ટ્રીય સ્તરે આટલામા ક્રમે

ભુજ: ભારત સરકારે તજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં સ્વચ્છતા બાબતે શહેરોની રેકિંગ જાહેર કરી હતી. જેમાં કચ્છના ઔદ્યોગિક પાટનગર અને તાજેતરમાં મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોને સાફ-સુથરું રાખવામાં વહીવટી તંત્ર સદંતર ઊણું ઊતર્યું હોવાનું સાબિત થયું છે. સફાઈના નામે દર મહિને એક કરોડથી વધુ રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં સ્વચ્છતા મામલે રાષ્ટ્રીય કક્ષાએ આ શહેરનો 820 માંથી 214 મો અને ગુજરાતમાં છેક 99મો ક્રમ આવ્યો છે, જે અત્યંત શરમજનક કહી શકાય.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્દોરે દેશમાં સ્વચ્છતામાં નંબર એકનું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં 50 હજારથી લઈને 3 લાખની વસ્તી ધરાવતા શહરોમાં ગાંધીધામ દેશમાં 214મા ક્રમે રહ્યું. આ સર્વેક્ષણમાં ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણ, સૂકો-ભીનો કચરો, વેસ્ટ પ્રોસાસિંગ એટલે કે કચરાનું ખાતર બનાવવાની પ્રક્રિયા સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે.
આ સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામને એક પણ સ્ટાર મળ્યો નથી, પરંતુ મહાનગરપાલિકાના જવાબદારો ગત સર્વેક્ષણ કરતાં આ વખતે સ્થિતિમાં સુધારો આવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં આ દાવો સદંતર પોકળ સાબિત થઈ રહ્યો છે હોવાના આક્ષેપો અહીંના નગરજનો કરી રહ્યા છે.
આપણ વાંચો: કલોલના છત્રાલમાં રિક્ષાચાલકે મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ હુમલો, આરોપીની ધરપકડ
નગરપાલિકા સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મહાનગરપાલિકાના સમયગાળામાં આવું ન થાય તે માટે 17 કરોડના ખર્ચે બે ઝોનમાં સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પણ જો ખરેખર સફાઈ કામગીરી થાય તો જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનનું વિઝન સાર્થક થાય તેવું કચ્છીઓ જણાવી રહ્યા છે.