રાપરના કાનમેર નજીક ખાનગી લકઝરી બસમાં આગ: તમામ ઉતારુઓ સુરક્ષિત

ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર મંગળવારે વહેલી સવારે પાલનપુરથી ભુજ તરફ આવી રહેલી રામાણી ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસમાં રાપરના કાનમેર નજીક આગ ભભૂકી ઉઠતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ધુમાડાને ઉઠતા જોઈને ચાલકે બસને તાત્કાલિક રોકી દીધી હતી અને અંદર રહેલા તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉતારુઓ બહાર નીકળ્યા પછી ગણતરીની મિનિટોમાં જ ધડાકા સાથે બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં સૌની નજર સમક્ષ બસ સળગીને રાખ થઇ હતી. બનાવની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ, ગાગોદર પોલીસ અને ગેલ કંપનીના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચીને આગને ઠારી હતી.
ગાગોદર પોલીસના હેડ કોન્સ્ટેબલ અમરસિંહના જણાવ્યા મુજબ, વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. રસ્તા પર આવી ગયેલા મુસાફરોને પોલીસે વૈકલ્પિક વાહનની વ્યવસ્થા કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.