રેલવે બજેટ: ગુજરાત માટે રૂ. 17,366 કરોડની ઐતિહાસિક ફાળવણી, જાણો શું બદલાશે?

અમદાવાદઃ ભારતીય રેલવેએ ગુજરાતમાં અભૂતપૂર્વ અંદાજપત્ર સહાય અને ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી રાજ્યમાં સુરક્ષિત, આધુનિક અને યાત્રી-કેન્દ્રીત રેલવે પરિવહનના નવા યુગની શરૂઆત થઈ રહી છે. ગુજરાત માટે સરેરાશ વાર્ષિક રેલવે બજેટની ફાળવણી વર્ષ 2009-14 દરમિયાન રૂપિયા 589 કરોડ હતી, જે વધીને 2026-27ના સમયગાળામાં રૂપિયા 17,366 કરોડ થઈ છે. આ લગભગ 29 ગણો વધારો છે.
માળખાગત સુવિધાઓને પ્રાધાન્ય આપ્યું
ગુજરાતમાં હાલમાં રૂપિયા 1,28,748 કરોડની કિંમતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. આ કાર્યોમાં ટ્રેક નિર્માણ, સ્ટેશન પુનઃવિકાસ અને સુરક્ષામાં મોટા સુધારાઓનો સમાવેશ થાય છે, જે સમગ્ર નેટવર્કમાં લાંબા ગાળાની ક્ષમતા વૃદ્ધિ અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. અમૃત સ્ટેશન યોજના હેઠળ, ગુજરાતના 87 રેલવે સ્ટેશનોને રૂપિયા 6,058 કરોડના કુલ રોકાણ સાથે વ્યાપક પુનઃવિકાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. ડાકોર, હાપા, જામ જોધપુર, મોરબી, ઓખા, પાલીતાણા અને પોરબંદર સહિત 19 સ્ટેશનો પર પુનઃવિકાસનું કામ પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે, જેનાથી યાત્રીઓની સુવિધાઓ અને સ્ટેશનની સુંદરતામાં નોંધપાત્ર સુધારો થયો છે
પ્રીમિયમ ટ્રેનો સાથે શ્રેષ્ઠ કનેક્ટિવિટી
ગુજરાતમાં આધુનિક ટ્રેન સેવાઓની શરૂઆત સાથે યાત્રીઓની સુવિધા અને યાત્રા ક્ષમતામાં બહોળો વધારો થયો છે. હાલમાં, રાજ્યમાં 5 જોડી વંદે ભારત એક્સપ્રેસ, 1 જોડી અમૃત ભારત એક્સપ્રેસ અને 1 જોડી નમો ભારત એક્સપ્રેસની સેવાઓ ઉપલબ્ધ છે. આ સેવાઓ યાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને વધુ આરામદાયક યાત્રાનાના વિકલ્પો ઉપલબ્ધ કરાવે છે.
નેટવર્ક વિસ્તરણ અને 100% ઈલેક્ટ્રિફિકેશન
વર્ષ 2014થી ગુજરાતના રેલવે નેટવર્કનો આશરે 2,900 કિમીના નવા રેલવે ટ્રેકના નિર્માણ સાથે ઝડપથી વિસ્તાર થયો છે, જે ઘણા યુરોપિયન દેશોના કુલ રેલવે નેટવર્ક કરતા પણ વધુ છે. રાજ્યએ 100% વિદ્યુતીકરણ પણ હાંસલ કર્યું છે, જેમાં 4,005 કિમી રેલ લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા-કાર્યક્ષમ કામગીરીમાં મદદરૂપ થાય છે. ઉપરાંત લેવલ ક્રોસિંગ દૂર કરવા અને માર્ગ-રેલવે અવરજવરને સરળ બનાવવા માટે રાજ્યભરમાં 1,177 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે.
‘કવચ’ દ્વારા રેલવે સુરક્ષાનું મજબૂતીકરણ કરાશે
ભારતીય રેલવેએ પોતાની ‘સુરક્ષા-પ્રથમ’ નીતિના ભાગરૂપે ગુજરાતમાં સ્વદેશી ‘કવચ’ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લાગુ કરી છે. કુલ મળીને 1,842 રૂટ કિલોમીટર લંબાઈમાંથી, 96 રૂટ કિલોમીટર પર કવચ તૈનાત કરવામાં આવ્યું છે, જ્યારે 1,674 રૂટ કિલોમીટર માટે કામ અથવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. વિક્રમજનક રોકાણ, આધુનિક સ્ટેશનો, પ્રીમિયમ ટ્રેનો, સંપૂર્ણ વિદ્યુતીકરણ અને અદ્યતન સુરક્ષા પ્રણાલીઓ સાથે ભારતીય રેલવે ગુજરાતના માળખાગત અને સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.



