અમદાવાદની સાબરમતી જેલમા એક કેદીએ બીજાનું ઢીમ ઢાળી દીધું ! જેલમાં જ હત્યાથી ઉઠ્યા સવાલ
![In Ahmedabad's Sabarmati Jail one prisoner killed another](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-23T195612.369.jpg)
અમદાવાદની સાબરમતી જેલમાં વધુ એક વખત હત્યા થતાં જેલની સુરક્ષા પર સવાલો ઉઠવા શરૂ થયા છે. જેલની અંદર રહીને સજા કાપતા બે કેદીઓ આમને-સામને આવી જતા એક કેદીએ બીજાની હત્યા કરી નાખી હતી.. વરસોથી અમદાવાદની સાબરમતી જેલમાં ગુટકા, મોબાઈલ, સીમકાર્ડ, નશીલા પદાર્થ, મળતાં આવ્યા છે.અને જેલમાં હત્યા થવાના બનાવો પણ બન્યા છે.
અમદાવાદની આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદીની હત્યા કરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4 નંબરના યાર્ડમાં બડા ચક્કરમાં આફ્ટર બેરેકમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. આજીવન કેદની સજા ભોગવી રહેલા અને આર્મીમાં લાન્સ નાયક રહી ચૂકેલા કેદી ભરત પ્રજાપતિએ બીજા કેદીની હત્યા કરી છે. મૃતક કેદી કેશાજી પટેલ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં 5 વર્ષની સજા ભોગવી રહ્યો હતો.
આ બંને કેદીઓ વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ કેદી ભરત પ્રજાપતિએ દાઝ રાખીને ઈંટ મારીને બીજા કેદી પર હુમલો કરી તેની હત્યા કરી છે. કેદીઓ ન્હાવા સમયે બેસવા માટે જે ઈંટનો ઉપયોગ કરતા હતા એ ઈંટથી એક કેદીએ બીજા કેદીની હત્યા કરી છે. બનાવ અંગે રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.