ગુજરાતમાં શેરબજારના રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર: એક દાયકામાં 5 ગણો વધારો

અમદાવાદ: ગુજરાતીઓ વેપાર કરવાની સાથે શેરબજારમાં પણ રોકાણ કરવા જાણીતા છે. ગુજરાતીઓની શેરબજારમાં રોકાણ કરવાની વધતી ભૂખને કારણે રાજ્યએ એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો. રાજ્યમાં નોંધાયેલા ઇક્વિટી રોકાણકારોની સંખ્યા એક કરોડનો આંકડો વટાવી ગઈ હતી. છેલ્લા એક દાયકામાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા પ્રમાણે આ વર્ષે ૩૦ એપ્રિલ સુધીમાં ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા 99.9 લાખ પર પહોંચી ગઈ હતી.
નાણાકીય વર્ષ 2015માં, ગુજરાતમાં ફક્ત 20 લાખ જેટલા ઇક્વિટી રોકાણકારો હતા. નાણાકીય વર્ષ 2020 સુધીમાં આ સંખ્યા 90 ટકા વધીને38 લાખ થઈ હતી. મે 2025 સુધીમાં આ સંખ્યા 163 ટકા વધીને 1 કરોડના આંકડે પહોંચી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, એનએસઈ ડેટા અનુસાર, એપ્રિલના અંત સુધીમાં ગુજરાતમાં 99.90 લાખ રોકાણકારો હતા. મે મહિનામાં આંકડો એક કરોડને પાર થઈ ગયો હોવાનો અમને અંદાજ છે. રાજ્યમાં કોવિડ પછી રિટેલ રોકાણકારો – ખાસ કરીને યુવા વ્યાવસાયિકો – મોટી સંખ્યામાં બજારમાં પ્રવેશ્યા છે.
આપણ વાંચો: ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ ખૂલ્યું, સેન્સેક્સ -નિફ્ટીમાં ઘટાડો
માર્કેટ એક્સપર્ટના કહેવા પ્રમાણે, આઈપીઓમાં તેજી, ડિજિટલ ઓનબોર્ડિંગની સરળતા અને વેલ્થ ક્રિએશન અંગેની વધેલી જાગૃતિએ આ વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. એનએસઈ ડેટા અનુસાર, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જ લગભગ 49,000 નવા રોકાણકારો ઉમેરાયા હતા. 2025ની શરૂઆતમાં મંદીના બજારને કારણે રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ મે મહિનામાં સુધરેલા ઇન્ડેક્સ પ્રદર્શને રાજ્યને 1 કરોડના આંકડાને પાર કરવામાં મદદ કરી હતી.
ગુજરાત દેશમાં રોકાણકારોની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને પહોંચ્યું હતું. મહારાષ્ટ્ર 1.84 કરોડ રોકાણકારો સાથે પ્રથમ, ઉત્તર પ્રદેશ 1.29 કરોડ રોકાણકારો સાથે બીજા ક્રમે છે. દેશમાં ઈક્વિટી રોકાણકારોની સંખ્યા 11 કરોડને પાર થઈ હતી.