આપણું ગુજરાત

ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રહ્યાં ઉપસ્થિત

ધરમપુરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીના વખાણ પણ કર્યાં હતાં. ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર મિશનની પવિત્ર ભૂમિમાં યોજાઈ રહેલી આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના પ્રધાનો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ મળીને 241 જેટલા પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે.

આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે. ગમે તેવી સ્થિતિ હોય દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે.

આ શિબીરમાં વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરાશે

મુખ્ય પ્રધાને દરેક ચિંતન શિબિરના પ્રારંભમાં પ્રસ્તુત થતા પ્રેરણા ગીત ‘મનુષ્ય તું બડા મહાન હૈ’ની વિભાવના માર્મિકતા પણ સમજાવી હતી. કહ્યું કે, આપણામાં જે અનંત શક્તિ પડેલી છે તેની તાકાત-ક્ષમતા ઓળખીને પ્રજાના હિતનું કામ સતત કરતા રહેવું તેની પ્રેરણા ચિંતન શિબિરના વિચાર મંથનથી મળે છે.

આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ અને લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવા પોઝિટિવ થીંકીંગથી કાર્યરત રહીએ તો જ ઈશ્વરે આપણને આપેલી જન સેવાની તકને ઉજાળી શકીશું. આ માટે જે કામ કરીએ તેનું મૂલ્યાંકન ચિંતન કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.

સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય સિદ્ધ થાય છે

વધુમાં સીએમ એ કહ્યું કે, સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન ત્રણ દિવસની શિબિરમાં કરવું છે. પૂજ્ય બાપુને પ્રિય ભજન વૈષ્ણવજન તો… નો મર્મ અને અર્થ પણ સમગ્ર સેવા કાળમાં અપનાવીને સૌના કલ્યાણ માટે હંમેશા કર્તવ્યરત રહેવાની તેમણે અપીલ કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાને 2047 સુધીમાં વિકસિત ભારતનું જે આહવાન કર્યુ છે તેમાં ગુજરાતને લીડ લેવા સજ્જ કરવામાં શિબિરનું વિચાર મંથન ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ કર્યો હતો.

સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન કરી 12મી ચિંતન શિબિરની રૂપરેખા આપી હતી. તેમણે અગાઉ યોજાઈ ગયેલી ચિંતન શિબિરોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉની ચિંતન શિબિરોમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી છે. આ વિષયોમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન, પોષણ અને આરોગ્ય, ગ્રીન ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે.

મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું કે, આ શિબિરનો એક આગવો હેતુ વિકસિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા માટે ક્ષમતા નિર્માણ કરવાનો છે. વિકાસની કેડી પર આગળ વધીએ ત્યારે કામનું ભારણ, કામનો પ્રકાર, જાહેર સેવાની જવાબદારી અને જનતાની આશા અપેક્ષાઓ પણ વધે છે. લોકોની સમસ્યાઓ ઉકેલવાનું અને જનહિતના કાર્યો, યોજનાઓને ઉચ્ચ ક્ષમતા સાથે અમલી બનાવવાના છે એમ ઉમેર્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button