હવે ખાનગી યુનિવર્સિટીને પણ આપવો પડશે RTIનો જવાબ, કેમ લેવાયો આ નિર્ણય?

અમદાવાદ: દેશના સામાન્ય નાગરિકો માટે માહિતી અધિકાર 2005 એક મહત્ત્વનું હથિયાર છે. આ અધિકાર હેઠળ કોઈપણ સરકારી કચેરીઓ તથા સંસ્થાની માહિતી મેળવી શકાય છે. આ નિયમ ખાનગી સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટીને લાગુ પડતો નથી. પરંતુ આ અંગે ગુજરાત માહિતી આયોગે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
ખાનગી યુનિ.એ પ્રોફેસરને RTIનો જવાબ ન આપ્યો
પ્રોફેસર દેવદત્ત રાણાએ વડોદરાની પારુલ યુનિવર્સિટી પાસેથી RTI હેઠળ કેટલીક માહિતી માંગી હતી. પરંતુ પારુલ યુનિવર્સિટીએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને જવાબમાં કહ્યું હતું કે, “તે એક ખાનગી યુનિવર્સિટી છે અને તેને સરકાર તરફથી કોઈ ભંડોળ મળતું નથી, તેથી તે RTI ના કાર્યક્ષેત્રમાં આવતી નથી.”
આ પણ વાંચો: હવે ખાનગી યુનિવર્સિટીઓને સરકારનો ટેકો: વિધાનસભામાં પસાર કર્યું બિલ
ગુજરાત માહિતી આયોગે ખાનગી યુનિ.ને આપ્યો આદેશ
પારુલ યુનિવર્સિટી તરફથી મળેલા ઉપરોક્ત જવાબ બાદ પ્રોફેસર દેવદત્ત રાણાએ ગુજરાત માહિતી આયોગના દરવાજા ખખડાવ્યા હતા. દેવદત્ત રાણાએ દલીલ કરી હતી કે, “યુનિવર્સિટીની રચના ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા હેઠળ થઈ હોવાથી, તે RTI કાયદાની વ્યાખ્યા મુજબ ‘જાહેર સત્તા’ છે.” મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીના નેતૃત્વ હેઠળના ગુજરાત માહિતી પંચે રાણાની દલીલને સમર્થન આપ્યું હતું.
ગુજરાત માહિતી પંચે RTI એક્ટની કલમ 2 ટાંકીને કહ્યું હતું કે, “સંસદ અથવા રાજ્ય વિધાનસભાના કાયદા દ્વારા રચાયેલી કોઈપણ સંસ્થાને ‘જાહેર સત્તા’ કહેવામાં આવે છે. આ ઉપરાંત, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની વેબસાઇટ અનુસાર, ખાનગી યુનિવર્સિટીઓ પણ RTI ના કાર્યક્ષેત્રમાં આવે છે.” આ સિવાય માહિતી પંચે 2020માં ખાનગી યુનિવર્સિટીઓને RTI લાગુ કરવાનું કહેતા શિક્ષણ વિભાગના પત્રનો ઉલ્લેખ પણ કર્યો હતો.
આ પણ વાંચો: ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા સમિતિની રચના
પ્રોફેસર દેવદત્ત રાણાને મળશે RTIનો જવાબ
ગુજરાત માહિતી આયોગે પારુલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને RTI કાયદાના અમલીકરણ માટે જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો છે. યુનિવર્સિટીને જાહેર માહિતી અધિકારી (PIO) અને પ્રથમ અપીલ અધિકારીની નિમણૂક કરવા અને તેમની માહિતી વેબસાઇટ પર મૂકવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પારૂલ યુનિવર્સિટીને પ્રોફેસર રાણા દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માહિતી પંચે ગુજરાત સરકારને ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, 2009 હેઠળ રચાયેલી તમામ યુનિવર્સિટીઓમાં RTI કાયદાનો અમલ કરવા માટે જરૂરી આદેશો જારી કરે તેવી ભલામણ કરી છે. આ નિર્ણયથી ખાનગી યુનિવર્સિટીઓમાં પારદર્શિતા વધવાની અપેક્ષા છે. માહિતી આયોગનો આ નિર્દેશ માત્ર પારુલ યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ ગુજરાતની તમામ ખાનગી યુનિવર્સિટીઓ માટે પણ એક ઉદાહરણ પૂરૂ પાડશે.