ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષના ચોરીના 50 ટકા કેસ ઉકેલવા અસમર્થ, 50 હજાર કેસ વણઉકેલ્યા

અમદાવાદ: ગુજરાત પોલીસ દર વર્ષે દિવાળી પહેલા જનતા માટે એડવાઈઝરી જાહેર કરે છે કે રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીઓથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી. છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસો અટકતા નથી. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ડેટાને દર્શાવે છે કે ગુજરાત પોલીસના નિર્દેશોની કોઈ અસર થતી નથી.
તાજેતરમાં જાહેર થયેલા ડેટા અનુસાર ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષમાં ચોરી અને ઘરફોડ ચોરીના 50% ગુનાઓ ઉકેલવામાં સફળ થઇ શકી નથી. રાજ્યમાં 2018 અને 2023 ની વચ્ચે 97,950 ચોરીઓ અને ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેમાંથી માત્ર 46,636 કેસમાં જ આરોપીઓ ઝડપાયા હતા. 2020 અને 2021ના પાનડેમિક વર્ષો દરમિયાન જ્યારે લોકો મોટાભાગે લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘરે જ રહેતા હતા ત્યારે ચોરીની ઘટનાઓ ઓછી બની હતી. આ બે વર્ષમાં રાજ્યભરમાં ચોરીની 10,000 જેટલી ઘટના બની હતી.
2018 માં 14,170 ચોરીના કેસ નોંધાયા હતા જેમાંથી માત્ર 42% કેસ ઉકેલાયા હતા. જ્યારે 2023ના સપ્ટેમ્બર મહિના સુધીમાં 16,529 ચોરીના કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 50% જેટલા કેસ ઉકેલાયા છે. ઘરફોડ ચોરીઓ માટે ગુના ઉકેલવાનો દર 2018માં 39% થી 2023 માં 55% ની વચ્ચે રહ્યો હતો.
ગુજરાત પોલીસના આંકડા પણ દર્શાવે છે કે 2018 થી 30 સપ્ટેમ્બર, 2023 વચ્ચે રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી અને નવ ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે. પોલીસ દળની કામગીરીનો બચાવ કરતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના કેસ સોલ્વિંગના આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સારા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) એ છેલ્લે 2021 માં ડેટા બહાર પાડ્યો હતો, જે મુજબ, તે વર્ષે ચોરી અને ઘરફોડ ચોરીઓની તપાસની રાષ્ટ્રીય સરેરાશ લગભગ 30% હતી.