ગુજરાત પોલીસે શરૂ કર્યો રાજ્યવ્યાપી ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ: હવે ગાંધીનગરથી રખાશે સમગ્ર રાજ્યની દેખરેખ

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક પોલીસિંગના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત પોલીસે પ્રોજેક્ટ ‘વિશ્વાસ’ (Video Integration and Statewide Advanced Security)નો બીજો તબક્કો પૂર્ણ કર્યો છે.
‘વિશ્વાસ’ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
‘વિશ્વાસ’ પ્રોજેક્ટ વિશ્વાસનો હેતુ રાજ્યમાં સુરક્ષાનું મજબૂત નેટવર્ક ઊભું કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ, અત્યાર સુધીમાં રાજ્યના 54 શહેરોમાં 12,500 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, ‘વિશ્વાસ’ પ્રોજેક્ટમાં ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચેના 79 ઇન્ટરસ્ટેટ ચેકપોઇન્ટ પણ આવરી લેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં, 7,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેનાથી દેખરેખ, ગુના નિયંત્રણ અને તપાસમાં મદદ મળશે.’વિશ્વાસ’ પ્રોજેક્ટના પહેલા અને બીજા તબક્કાની વિગતો નીચે આપેલા કોષ્ટકમાં આપેલી છે.

અમદાવાદ શહેર પોલીસે સ્માર્ટ સિટી અને અન્ય પ્રોજેક્ટ્સના કેમેરાનો ઉપયોગ કરીને પોતાનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સ્થાપિત કર્યું છે, જેનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, તેથી ‘વિશ્વાસ’ પ્રોજેક્ટના કેમેરા અહીં ઉપલબ્ધ નથી.
ગાંધીનગરમાં ‘ત્રિનેત્ર’ મેગા કંટ્રોલ રૂમ
પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ, બધા જિલ્લાઓમાં સ્થાપિત કમાન્ડ અને કંટ્રોલ રૂમ ગાંધીનગરમાં આવેલા ‘ત્રિનેત્ર’ નામના માસ્ટર કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે. આ માસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા રાજ્યના કોઈપણ ભાગ પર નજર રાખી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિરીક્ષણ 1996ની બેચના આઈપીએસ અધિકારી નરસિમ્હા કોમાર કરી રહ્યા છે, જેઓ ડીજીપી હેડક્વાર્ટરમાં પોસ્ટિંગ થયા ત્યારથી આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ છે. ‘પ્રોજેક્ટ વિશ્વાસ’ હેઠળ સ્થાપિત કેમેરા ગુનેગારોને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેની ચર્ચા પીએમ મોદીના My Gov પોર્ટલ પર પણ કરવામાં આવી છે.



