ગુજરાત કૉંગ્રેસને કોણ બેઠી કરશે? નેતાગીરીનો દુકાળ અને પડકાર…
પેટા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસનું પાણી ઊતાર્યું કે ચઢાવશે એ જોવાનું રહેશે

અમદાવાદઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ રાજકીય ચડતી પડતી આવ્યા કરે છે અને ઘણા પક્ષોને, નેતાઓને ગુજરાતની પ્રજાએ પ્રેમ પણ કર્યો છે અને પાણીચું પણ આપ્યું છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી ગુજરાત ભાજપનું એકહથ્થું શાસન જોઈ રહ્યું છે. આ માટે કૉંગ્રેસ ભલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને, ચૂંટણી પ્રક્રિયાઓને, ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) મશીનને કે અન્ય કારણોને જવાબદાર ગણાવે પણ હકીકત તો એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ 77 બેઠકમાંથી 17 પર આવી ગઈ.
કોંગ્રેસ પોતાના નેતાઓને પક્ષમાંથી જતા રોકી શકી નહીં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપે સતત ત્રણ ચૂંટણીઓ જીતી અને તે પહેલા પણ ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું. મોદી વડા પ્રધાન બન્યા ત્યાર બાદની 2017ની ગુજરાતની ચૂંટણી મહત્વની રહી. હાર્દિક પટેલના પાટીદાર આંદોલન અને સૌરાષ્ટ્રએ કૉંગ્રેસ પર ફરી ભરોસો કરતા ગુજરાતમાં કૉંગ્રેસને 182માંથી 77 બેઠક મળી હતી. ભાજપ માટે આ કપરી સ્થિતિ હતી, પરંતુ ત્યાર બાદ કૉંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાવવા લાગ્યા અને પક્ષે તે સમયે આ નેતાઓને જતા અટકાવવા જે કરવું જોઈએ તે કર્યું નહીં. સતત સત્તાથી દૂર રહેતા કૉંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં ગયા અને ઘણાને પ્રધાનપદ પણ મળ્યું. ત્યારબાદ 2022ની ચૂંટણી અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાનીમાં યોજાઈ, પણ કૉંગ્રેસે ગુજરાતમાં તેનું લગભગ સૌથી ખરાબ પ્રદર્શન કર્યુ અને માત્ર 17 બેઠક પર જીત મેળવી, તેમાંથી પણ ત્રણ વિધાનસભ્યો ભાજપમાં જોડાયા. કૉંગ્રેસની આવી માઠી દશા ગુજરાતમાં ક્યારેય નથી બેઠી.

શક્તિસિંહની શક્તિ પણ કામ ન લાગી
લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ગુજરાતની કમાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી. મૂળ ભાવનગરના શક્તિસિંહ ગોહિલ અનુભવી, રાહુલ ગાંધી-સોનિયા ગાંધી નજીકના માનવામાં આવે છે. શક્તિસિંહ વ્યક્તિગત રીતે પણ એક સન્માનીય નેતા અને સૂઝબુઝ સાથે સાલસ સ્વભાવ અને વિદ્યાર્થીકાળથી અત્યાર સુધીની લાંબી રાજકીય કારકિર્દીને લીધે ગુજરાતમાં તેમનું મોટું નામ હોવાથી સૌને આશા બંધાઈ કે હવે કૉંગ્રેસને કળ વળશે. શક્તિસિંહે મહેનત કરવામાં પણ કચાશ ન રાખી અને ગુજરાતના ઘણા મુદ્દે ભાજપને ઘેરી. શક્તિસિંહની છબિ સાફ હોવાથી ભાજપે પણ ક્યારેય શક્તિસિંહ પર વ્યક્તિગત પ્રહારો કર્યા નથી. જોકે કૉંગ્રેસ પક્ષે જે રીતે ગોહિલને સાથ આપવો જોઈતો હતો તે ન આપ્યો, નવી નેતાગીરી ઊભી ન થઈ શકી અને ભાજપના મજબૂત સંગઠન સામે ઊભું રહેવું પક્ષ માટે પડકાર જ બની રહ્યો.
કોંગ્રેસ જે કરી શકી નહીં એ આપએ કરી બતાવ્યું
લોકસભાની ચૂંટણી દરમિયાન પણ શક્તિસિંહે ઘણી મહેનત કરી. કૉંગ્રેસે ટિકિટ આપવામાં પણ થોડી ઘણી રણનીતિ બદલાવી. ગુજરાતમાં ત્રણથી ચાર બેઠક પર કૉંગ્રેસ જીતશે તેવો આશાવાદ ઊભો થયો હતો, પરંતુ માત્ર એક બેઠક કૉંગ્રેસના ભાગે આવી. ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, પેટા ચૂંટણીઓમાં કૉંગ્રેસ કોઈ કમાલ બતાવી શકી નહીં ખાસ કરીને તાજેતરમાં યોજાયેલી વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કૉંગ્રેસને કારમી હાર મળી જ્યારે નવા નિશાળિયા એવા આપે વિસાવદરમાં ફરી જીત મેળવી સાબિત કરી દીધું કે ભાજપને હરાવી શકાય છે, જે કૉંગ્રેસ ન કરી શકી અને અંતે શક્તિસિંહે રાજીનામું આપ્યું.
ક્યા કારણોસર કૉંગ્રેસને નથી વળતી કળ?
દેશમાં હોય કે ગુજરાતમાં કૉંગ્રેસને એક ઉધઈ કોરી ખાય છે અને તે છે જૂથવાદ. કૉંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે નેતા તરીકે દરેક સારા છે, પણ જ્યારે ટીમવર્કની વાત આવે ત્યારે કૉંગ્રેસ જે જોમથી કામ કરવું જોઈએ તે કરતી નથી. એક નેતાનું એમ પણ કહેવાનું હતું કે રાહુલ ગાંધી લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ તારવવાની વાત વારંવાર કરે છે, પરંતુ હજુ સુધી પક્ષના કોઈ નેતા સામે કડક કાર્યવાહી થઈ હોય તેમ બન્યું નથી. આથી પક્ષ મને લગ્નનો ઘોડો માને છે કે રેસનો તે નેતાઓને ખબર પડતી નથી. વળી ઘણાને આ વાતનું ખબર પણ લાગ્યું છે. જિલ્લાધ્યક્ષોની પસંદગીમાં પણ પક્ષે સંનિષ્ઠ કાર્યકરોની ગણતરી ન કરી હોવાનું કહેવાય છે, વળી સ્થાનિક વિષયોમાં પણ દિલ્હીના દરબારનો નિર્ણય હોય છે, આથી દરેકની નજર દિલ્હી પર જ હોય છે.
સતત હાર પક્ષને હતાશ કરી રહી છે
કૉંગ્રેસ 30 વર્ષથી સત્તાથી દૂર છે, આથી નેતાઓને સત્તા વિના ટકાવી રાખવાનું કામ સહેલું નથી. દરેક જિલ્લામાં નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. કૉંગ્રેસ નવા કાર્યકરો જોડી શકતી નથી અને જૂના સાચવવા અઘરા છે. આ બધા વચ્ચે ચૂંટણીમાં સતત હાર પક્ષને હતાશ કરી રહી છે. સાડા સાત કરોડ ગુજરાતીઓમાંથી એક પણ એવો ગુજરાતી પક્ષને મળતો નથી, તે ભલે સત્તા પાછી ન લાવે, પણ પક્ષ માટે આશાનું કિરણ બની અસ્તિત્વ માનભેર ટકાવી રાખે. ટૂંકમાં, પેટા ચૂંટણીના પરિણામોએ ગુજરાત કોંગ્રેસ માટે એક કરતા અનેક પડકારો ઊભા કર્યા છે, પરંતુ આ હાર પછી પાર્ટીને બીજું કોઈ મોટું નેતૃત્વ મળે યા કોઈ પાર્ટીને પાણી ચઢાવે તો ફાયદો થશે એટલું ચોક્કસ કહી શકાય.