આવાસ યોજનાના લાભાર્થીઓને ગુજરાત સરકારની મોટી ભેટ: ટેક્સમાં રાહત!
ગુજરાતમાં ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક ૨૦૦ રુપિયાના એકસમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે. મુખ્ય પ્રધાનના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂ.૨૦૦ ઘર વેરા આકારણી પેટે લેવામાં આવશે.
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની હાલની ઘર વેરા આકારણીના સમયગાળાથી આગામી ૪ વર્ષ માટે વાર્ષિક ૨૦૦ રૂપિયાના આ આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે. કોઈ પણ ગ્રામ પંચાયત આ વાર્ષિક ૨૦૦ રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર સમીક્ષા હાથ ધરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓના લાભાર્થીઓની આર્થિક સ્થિતિ નબળી હોય છે અને આવા લાભાર્થીઓને પોતીકા આવાસ બાંધકામ માટે પણ સરકાર આર્થિક સહાય આપીને ‘ઘરના ઘર’નું સપનું સાકાર કરવા સરકાર પડખે ઊભી રહે છે. સરકારે ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે એક સમાન એટલે કે, વાર્ષિક રૂ. ૨૦૦ના દરે ઘર વેરા આકારણી કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્ય પ્રધાનના આ નિર્ણયને પરિણામે લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘર વેરા આકારણીની રકમમાં મોટી રાહત મળશે. રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિકાસ વિભાગે આ નિર્ણય અંગેનો ઠરાવ પણ જારી કર્યો છે.