શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાને આવ્યો માઈનોર હાર્ટ એટેક, UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા…

અમદાવાદઃ ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સારવાદ દરમિયાન હદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેમની તબિયત લથડી હતી.
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેમની તબિયત લથડી
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું ભવન સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ કાર્યક્રમ પ્રદ્યુમન વાજાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેમની તબિયત લથડી હતી. હાર્ટ એટેક આવતા અસારવા ખાતે આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર ચાલી રહી છે. ચેકઅપમાં હૃદયમાં બ્લોકેજ હોવા અંગેની જાણ થતા સત્વરે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, અત્યારે તેમની તબિયત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
કોણ છે ડો. પ્રદ્યુમન વાજા?
મૂળ અમદાવાદના વતની ડો. પ્રદ્યુમન વાજા ગણુભાઈ વાજાના પુત્ર છે. ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો છે. પ્રદ્યુમન વાજાએ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડો. પ્રદ્યુમન વાજાએ ભાજપના ઉમેદવાર તરીકે કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો. ઓક્ટોબર 2025માં કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન બનાવાયા છે.



