આપણું ગુજરાતવિજ્ઞાન અને ટેકનોલોજી

સાવધાન ગાંધીધામ, સાયબર ફ્રોડ ટોળકીએ 23 બેન્ક ખાતાઓમાંથી કરી કરોડોની હેરફેર

ગાંધીધામ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેર(Gandhidham)માં મિત્રો અને પરિચિતોનો વિશ્વાસ કેળવી તેમના ઓળખપત્રોના આધારે અલગ-અલગ બેન્ક ખાતાં ખોલાવી તેમની જાણ બહાર લાખો કરોડોની નાણાંકીય હેરફેર (Cyber fraud) કરવાના કૌભાંડનો ખુલાસો થયો છે, જેનો સૂત્રધાર આદિપુરનો એક યુવક નીકળ્યો છે, જે હજુ સુધી સાયબર પોલીસને હાથ લાગ્યો નથી. આ કૌભાંડમાં મૂળ કચ્છની અને હાલ અમદાવાદ રહેતી એક યુવતીની સામેલગીરી પણ સ્પષ્ટ થઈ છે.

ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે અટકાયતમાં લીધેલા બે યુવકોની પ્રાથમિક પૂછતાછ અને તપાસમાં 23 બેન્ક ખાતાઓમાં છેલ્લાં ત્રણ-ચાર માસની અંદર 12.24 કરોડની રકમના બેનામી આર્થિક વ્યવહારો થયાં હોવાનું ખૂલ્યું છે.

આ અંગે સાયબર ક્રાઈમના પી.આઈ વી.કે.ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામની સુંદરપુરીમાં રહેતાં ચિરાગ સાધુ નામના યુવકે સાયબર ક્રાઈમ પોલીસને જાણકારી આપી હતી કે તેના મિત્ર નરેન્દ્ર કિશન રાજપૂતે તેના બેન્ક ખાતાની લિમિટ પૂરી થઈ ગઈ હોવાનું જણાવી તથા ખાતામાં નાણાં જમા થવાના હોઈ મદદ કરવાના નામે તેના નામે બે બેન્ક ખાતાં ખોલાવ્યાં હતાં. બંને ખાતાનો તે ઉપયોગ કરતો હતો.

| Also Read: WhatsApp cyber fraud: મિત્રને પૈસા મોકલતા પહેલા 100 વાર વિચારજો, સાયબર ક્રિમિનલ્સ અપનાવી રહ્યા છે આ ટેકનીક

નરેન્દ્રએ બેન્ક ખાતા પરત ના કરતાં શંકા જતાં તેણે તપાસ કરતાં એક બેન્ક ખાતામાં 24 દિવસમાં જ 90 લાખ રૂપિયાની હેરફેર થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ભેજાબાજ નરેન્દ્રએ અન્ય મિત્રો પરિચિતોને પણ વિશ્વાસમાં લઈ બેન્ક ખાતાં ખોલાવ્યાં હતાં.
સાયબર પોલીસે પ્રાથમિક તપાસ કરતાં જે ખાતામાં 90 લાખ રૂપિયાની હેરફેર થયેલી તે ખાતું ફ્રીઝ થઈ ગયું હોવાનું અને તે ખાતા નંબર પર દેશના સાત રાજ્યોમાં ફ્રોડની રકમ જમા થઈ હોવાની નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદો નોંધાયેલી હતી.
આ કૌભાંડમાં અમદાવાદ રહેતો પ્રમોદકુમાર ઊર્ફે આશિષ જાંગીર (રહે. મૂળ રાજસ્થાન) નામનો સાગરીત સામેલ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેને પણ અમદાવાદથી દબોચી લીધો છે.

આ બંને યુવકોએ કેટલાક લોકોને ભોળવીને ગાંધીધામમાં અલગ અલગ બેન્કોમાં 23 ખાતાં ખોલાવ્યાં છે અને એક ખાતું મોડાસામાં પણ ખોલવામાં આવ્યું છે. આ ખાતાઓમાં થયેલાં આર્થિક વ્યવહારોની વિગતો મેળવતાં 12.24 કરોડની નાણાંકીય હેરફેર થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ તમામ બેન્ક ખાતાઓ પોલીસે ફ્રીઝ કરાવ્યાં છે. નરેન્દ્ર અને આશિષ આ બેન્ક ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન માટેની જરુરી વિગતો અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં રહેતી મૂળ કચ્છની વતની એવી હસ્મિતા મનોજ ઠક્કર અને આદિપુર રહેતા રાજ દિપક ધનવાણીને આપતાં હતાં. આદિપુરનો રાજ ધનવાણી અને હસ્મિતા અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયાં છે. આ ટોળકી ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગોને નાણાં જમા કરાવવા માટે કમિશન કે ભાડેથી બેન્ક ખાતાં ઉપલબ્ધ કરાવતી હોવાની પોલીસને આશંકા છે.

| Also Read: Cyberattacks: એક હજાર કરોડના password leak થવાના અહેવાલથી ખળભળાટ

ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, બેન્ક ખાતાઓમાં જે નાણાંકીય વ્યવહારો થયાં છે તે શંકાસ્પદ છે. તેમાં ઓનલાઈન ફ્રોડ ઉપરાંત સટ્ટા બેટીંગ રેકેટ, જીએસટી ચોરી કે અન્ય કોઈ રીતે ગેરરીતિ આચરીને મળતાં નાણાં પણ જમા થતાં હોવાની પોલીસને આશંકા છે જેના પગલે તપાસમાં જીએસટી અને ઈન્કમ ટેક્સ વિભાગની પણ મદદ લેવાશે. આરોપીઓ પાસેથી પોલસે લેપટોપ, ચાર મોબાઈલ ફોન, ચાર સીમ કાર્ડ, વિવિધ બેન્ક ખાતાનાં દસ્તાવેજો વગેરે જપ્ત કર્યાં છે. પોલીસ સઘન તપાસમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button