આપણું ગુજરાત

શું આ રીતે ભણશે ગુજરાત? શિક્ષણ સિવાયની 60 જેટલી કામગીરી કરતા શિક્ષકો હવે શ્વાનની ગણતરી કરશે

ગાંધીનગરઃ શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની 60થી વધુ પ્રકારની કામગીરી લેવામાં આવી રહી છે. જેના લીધે શિક્ષકો પર ભાર વધી રહ્યો છે અને શિક્ષક સમુદાય માનસિક રીતે તાણ અનુભવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ/કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં રહેલા શ્વાનોનો સર્વે તાત્કાલિક કરવા માટેની કામગીરી શિક્ષકોને સોંપવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું. આ મામલે કોંગ્રેસ દ્વારા સરકાર પર વાક્ પ્રહારો કરવામાં આવ્યાં છે.

શિક્ષકોને કેમ બિનશૈક્ષણિક કામગીરી ફરજિયાત પણે સોંપાય છે?

ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાતમાં 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. 3,000 જેટલી શાળાઓ માત્ર એક શિક્ષક થી ચાલી રહી છે એક તરફ મોટાપાયે શિક્ષકોની ખાલી જગ્યા, બીજી બાજુ કાર્યરત શિક્ષકોને અનેક પ્રકારની બિનશૈક્ષણિક ફરજિયાત પણે કામગીરી સોંપાઈ રહી છે. ઘણા સમયથી શિક્ષકો પાસેથી તીડ ભગાડવા, ભૂંડ ભગાડવા, પંચર સાંધતા શીખવવા, શોચાલય ગણવા, ભીડ ભેગી કરવી, સસ્તા અનાજની દુકાને લાઈન કરવી સહિતની 60થી વધુ શિક્ષણ સિવાયની કામગીરી લેવામાં આવી રહી છે. શિક્ષકો પર ભાર વધી રહ્યો છે. શિક્ષકોની સસ્તા અનાજની દુકાન પર લાઈન લગાવવા માટે, ગણતરી સહિતના બીજા કામો આપવા, ચૂંટણીના કામો આપવા, SIRની કામગીરીમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી. એમને સોંપવામાં આવેલી કામગીરીથી શિક્ષણ વ્યવસ્થા પર અસર પડી રહી છે. સુપ્રિમ કોર્ટના આદેશનું સન્માન કરવાનું જ હોય પણ તેના અમલીકરણ માટે સરકાર શિક્ષકો સિવાયની અન્ય વ્યવસ્થા કેમ ઉભી કરતી નથી?

40 હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા ક્યારે ભરાશે?

વધુમાં જણાવ્યું કે, 40 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે અને હવે તો પોતાના વિસ્તારના કેમ્પસ અને આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે, પોતાના વિસ્તારના કેમ્પસ અને આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવા માટે કામગીરી સોંપવામાં આવી છે. એક તરફ પરીક્ષાનું સમય આવી રહ્યો છે અને તાજેતરમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી શિક્ષકોને મતદાર યાદી લક્ષી કામો તરફ વ્યસ્ત હતા હવે વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે. આ બધાની વચ્ચે હવે શ્વાન સર્વેની કામગીરી આવી છે જેના કારણે શિક્ષકને વર્ગ ખંડમાં શૈક્ષણિક કામ માટે સમય ન જ મળે. જેના લીધે શિક્ષકો અને શિક્ષણ પર મોટી અસર પડી રહી છે.

ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સતત પાછળ ધકેલાયું હોવાનો આક્ષેપ

ગુજરાતમાં કોઈપણ પ્રકારની કામગીરી સોંપવાની હોય તો માત્ર શિક્ષકોને જ કેમ સોંપાય છે ? શું શિક્ષકો સિવાય અન્ય કોઈ વ્યવસ્થા નથી ? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શિક્ષકોના સન્માનને ઘા પહોંચે તેવી કામગીરી સતત સોંપવામાં આવી રહી છે. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં અન્ય વિભાગમાં કર્મચારી જ નથી? શિક્ષક સિવાય આ કામગરી કરી શકે એવી કોઈ વ્યવસ્થા સરકાર પાસે નથી? જે ગુજરાત 1990-95 સુધી દેશના શિક્ષણમાં ગુજરાત નવમા કે 11માં ક્રમાંકે હતો એ ગુજરાત આજે 19 થી 21માં ક્રમાંકે ધકેલાઈ ગયું છે. એની માટે કોણ જવાબદાર છે? આ પરિપત્ર રદ થવું જોઈએ અને આ કામગીરી બીજા અન્ય કર્મચારીઓને અથવા અન્ય વ્યવસ્થા ઉભી કરીને સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button