આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણઃ DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં યુનિટ વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક…

કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવાની સૂચના અપાઈ
ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આતંકવાદી ગતિવિધિઓ અનુસંધાને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવાની સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા સૂચના
નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકીને આ બેઠકમાં ATS સહિત તમામ ફિલ્ડ યુનિટના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત (સ્ટ્રેન્ધન) કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની કામગીરીની સમીક્ષા કરી વિવિધ 30 મુદ્દાઓ પર રજીસ્ટરની યોગ્ય નિભાવણી કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.
આતંકવાદ પ્રવૃત્તિઓ મુદ્દે તપાસ કરવા મળી બેઠક
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બેઠકમાં ખાસ કરીને આતંકવાદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગંભીર ગુનાઓમાં એટલે કે અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ તેમજ ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ ઉપરાંત NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ), આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી (નકલી ભારતીય ચલણ)અગાઉ પકડાયેલા આરોપીઓ, ગુનાહિત ઇતિહાસ સહિતનું રજીસ્ટર નિભાવવા તથા આ પ્રકારના આરોપીઓ પર સતત વોચ રાખવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
લોકલ પોલીસને વોચ રાખવા માટે સૂચના આપી
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે માત્ર SOG ને જ નહીં, પરંતુ લોકલ પોલીસને પણ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય રાખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા માટે જરૂરી સૂચના આપી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ ભવન ખાતેથી ATS એડીજીપી, ATS ડીઆઇજી, રાજ્યના આઈબી (ઈન્ટેલિજન્સ બ્યુરો) ડીઆઇજી હાજર રહ્યા હતા. જ્યારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ યુનિટના વડા, તમામ પોલીસ કમિશનર અને જિલ્લાઓના પોલીસ વડાઓ જોડાયા હતા.
આ પણ વાંચો…કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને ‘આતંકી ઘટના’ માનીઃ દોષીઓને આકરી સજા થશે



