સુરતમાં મેટ્રો ટ્રેનને સમાંતર રસ્તાઓનું મરમ્મતનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરાયું…
રોડ પરથી 477 ખાડા પૂરીને 94 ટકા કાર્ય પૂર્ણ કર્યું

સુરતઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ – રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમ જ સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવેનું સમારકામ પણ ઝડપભેર થઈ રહ્યું છે.
ગુજરાત રાજ્યના અન્ય શહેરોની જેમ સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં મેટ્રો ટ્રેનના રૂટને સમાંતર આવેલા રોડ રસ્તાઓમાં જ્યાં વરસાદી પાણીથી નુકસાન થયું છે તે દરેક જગ્યાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા રોડ મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.
રસ્તાઓ પરના 477 ખાડા પૂરી દેવામાં આવ્યા
આ અંગે પ્રોજેક્ટ ડિરેક્ટર એએસ બિસ્તના જણાવ્યા પ્રમાણે, ‘અત્યાર સુધીમાં સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ-રસ્તાઓ પરના 477 ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. લગભગ 7,615 સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરીને આ ખાડાઓને પૂરી દેવામાં આવ્યાં છે. મેટ્રો રૂટ અંતર્ગત આવતા જમીની માર્ગો પરથી ખાડા દૂર કરવાનું 94% જેટલું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે.’ વધુમાં જણાવ્યું કે, મેટ્રો રૂટને સમાંતર અઢી કિલોમીટર જેટલા રસ્તા પર રોડને રિસર્ફેસ કરવામાં આવ્યા છે. હોટ મિક્સ અને પેવર ફિનિશરના ઉપયોગથી આ રસ્તાનું રિસર્ફેસિંગ કરાયું છે.
દિવસે ટ્રાફિક હોવાથી રસ્તાનું સમારકામ રાતે કરાશે
પ્રોજેક્ટ ડિરેક્ટરે વધુ વિગતો આપતા કહ્યું કે, મેટ્રો રૂટને સમાંતર માર્ગો પર દિવસે વાહનોનો ટ્રાફિક હોવાને કારણે રસ્તાનું સમારકામ માત્ર રાતે કરવામાં આવે છે. બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માર્ગોનું ઝડપી સમારકામ અને રિસર્ફેસિંગની કામગીરીથી સુરત શહેરના માર્ગો વધુ સલામત અને સુગમ બન્યા છે. વરસાદ દરમિયાન વાહન વ્યવહાર પણ સરળ બની રહેશે. તેવું અધિકારીઓનું કહેવું છે.
યુદ્ધના ધોરણે રોડ-રસ્તાને રિપેર કરવાનું કામ શરૂ
મેટ્રો પ્રોજેક્ટના નિર્માણકાર્ય દરમિયાન માર્ગો પર થયેલા ઘસારા કે નુકસાનને પહોંચી વળવા માટે GMRC રોડ રિપેરિંગની પ્રક્રિયા સતત કરે છે. આ ઉપરાંત વરસાદી પાણીને કારણે થયેલા ખાડા દૂર કરવાનું અને ધોવાઈ ગયેલા રોડ-રસ્તાને રિપેર કરવાનું કામ પણ GMRC દ્વારા યુદ્ધના ધોરણે કરવામા આવી રહ્યું છે. GMRCની આ પ્રતિબદ્ધતા સુરતને વધુ આધુનિક અને લીવેબલ શહેર બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.