સુરતના જાણીતા બિલ્ડરે યુવતીના બ્લેકમેઈલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ધડાકો

સુરત: પ્રતિષ્ઠિત બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં અત્યાર સુધી જે કારણો અકબંધ હતા, તેના પરથી હવે પડદો ઉચકાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, તુષારભાઈ કોઈ પારિવારિક ઝઘડાના કારણે નહીં, પરંતુ એક મહિલાના સતત બ્લેકમેઈલિંગથી કંટાળી ગયા હતા. જે દીકરીના લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી, તે જ પ્રસંગે એક મહિલાએ હોબાળો કરવાની ધમકી આપતા બિલ્ડરે આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન 5 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, 1 ફેબ્રુઆરીના રોજ તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે તેમણે દમ તોડ્યો હતો. જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા, તે જ દિવસે પિતાની અર્થી નીકળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે આ રહસ્યમય મહિલા તુષારભાઈને લાંબા સમયથી હેરાન કરતી હતી. આ મહિલાએ બિલ્ડર પાસેથી દુકાનો અને અન્ય કેટલીક મિલકતો પણ પડાવી લીધી હોવાની આશંકા છે. તુષારભાઈ આ મહિલાથી પીછો છોડાવવા માંગતા હતા, પરંતુ તે મચક આપતી નહોતી. દીકરીના લગ્ન પ્રસંગે જ આ મહિલાએ જાહેર હોબાળો કરીને બદનામ કરવાની ધમકી આપતા, સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડરથી તેમણે જીવન ટૂંકાવી લીધું હતું.
હાલમાં તુષાર ઘેલાણીના પરિવારજનો અંતિમ વિધિ અને ઉત્તરક્રિયામાં વ્યસ્ત છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવારની વિધિઓ પૂર્ણ થયા બાદ તેમના વિગતવાર નિવેદનો લેવામાં આવશે. આ નિવેદનોના આધારે આગામી 2-3 દિવસમાં બ્લેકમેઈલિંગ કરનાર મહિલા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો દાખલ કરવામાં આવી શકે છે. પોલીસ હાલ આ મહિલાના કોન્ટેક્ટ ડિટેલ્સ અને નાણાકીય લેવડદેવડની તપાસ કરી રહી છે.



