સુરતમાં 11મા ધોરણના વિદ્યાર્થીએ 12મા ધોરણના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કર્યો…

સુરતઃ સુરતમાં એક શાળામાં અમદાવાની સેવન્થ ડે સ્કૂલ જેવી થઈ છે. સુરતમાં આવેલી શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરીયલ સ્કૂલમાં આ ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા વાલીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ઘટનાને ગંભીરતાને જોતા શાળાના આચાર્યે બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવ્યાં હતાં.
11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સળિયા વડે કર્યો હુમલો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પહેલા સામાન્ય ઝઘડો થયો હતો. ઝઘડો વધારે ઉગ્ર બન્યો અને 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જેથી વિદ્યાર્થીના માતા-પિતા સીટી સ્કેનનો રિપોર્ટ અને સળિયો લઈને શાળામાં ફરિયાદ કરવા માટે પહોંચ્યાં હતાં. આ દરમિયાન બીજા વાલીઓ પણ શાળામાં આવી પહોંચ્યાં હતા. અત્યારે તમામ વાલીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સવાલ કર્યા હતાં. આ સાથે સાથે આચાર્ય વિલાસ પાઠક અને શાળાના ટ્રસ્ટીને લેખિતમાં રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશેઃ આચાર્ય વિલાસ પાઠક
આ સમગ્ર ઘટના અંગે શાળાના આચાર્ય વિલાસ પાઠકે વિગતો આપી હતી. વિલાસ પાઠકે કહ્યું કે, ‘આ વિવાદ અંગે અને વાલી તરફથી ફરિયાદ મળી છે. જેથી અમે બંને વિદ્યાર્થીઓને વાલીઓને શાળામાં બોલાવ્યા છે. આ સમગ્ર મામલે અમે તપાસ કરીશું’.
અત્રે ઉલ્લેખયની છે કે, શાળાના આચાર્યે અંગે તપાસ કરવાની વાત કરીને વાલીઓને સમજાવ્યાં હતાં. જો કે, પ્રશ્ન એ છે, બાળકો આવું ક્યાથી શીખે છે? આ પહેલા પણ ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં વિદ્યાર્થીઓએ શાળામાં બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હોય. અમદાવાદમાં તો એક વિદ્યાર્થીની હત્યા પણ થઈ હતી.
આ પણ વાંચો…સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ, CCTV ફૂટેજથી ખુલ્લી પડી બેદરકારીની પોલ