
સુરતઃ ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત સર્કલ બનાવવા સાંસદે માંગ કરી હતી પરંતુ તંત્રની કોઈપણ જાતની મંજૂરી વગર જ અજાણ્યા ઇસમોએ સર્કલ બનાવી નાંખ્યું હતું.
થોડા દિવસ પહેલાં જ સુરત હજીરા રોડ પર હવેલી વિસ્તાર નજીક આવેલા સર્કલ પર આર્મી જવાનના કટ આઉટ, ફાઈટર પ્લેન અને સર્કલ પર ઓપરેશન સિંદૂર નામ સાથે સર્કલ બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ સર્કલ સોશયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું.

આપણ વાંચો: ભારતના ઓપરેશન સિંદૂરની યાદમાં ભુજમાં ૮ હેકટર જમીન પર આકાર પામશે ‘સિંદૂર વન મેમોરિયલ પાર્ક’
સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની માંગણી કરી હતી.આ સર્કલમાં સ્વદેશી શસ્ત્રોની કૃતિઓ પ્રદર્શિત કરીને નાગરિકો અને યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને સૈન્ય અંગે જાગૃતિ લાવવાનો હેતુ છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સાંસદે અડાજણ પ્રાઈમ આર્કેડ, મોરાભાગળ ચાર રસ્તા, રાંદેર અડાજણના મોટા સર્કલ અથવા સુરત હજીરા રોડ પર ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માંગણી કરી હતી.
સર્કલ પાલિકાની મંજૂરી વિના બન્યું હોવાની ફરિયાદ થઈ છે. સુરત મહાનગરપાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સર્કલ બનાવનાર સંસ્થાને નોટિસ પણ ફટકારી દીધાનું સૂત્રોએ જણાવ્યું હતું.