હૉંગકૉંગથી આવેલા સુરતના દંપતી સહિત ત્રણની ધરપકડ: પચીસ કરોડનો ગાંજો જપ્ત

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હૉંગકૉંગથી આવેલા સુરતના દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરી કસ્ટમ્સના અધિકારીઓએ અંદાજે પચીસ કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો જપ્ત કર્યો હતો.
કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) બુધવારે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ શાકિર શેખ (44), તેની પત્ની તબસ્સુમ શેખ (40) અને અલિફિયા યુસુફ રામપુરવાલા (36) તરીકે થઈ હતી. શેખ દંપતી ગુજરાતના સુરત શહેરમાં વરિયાળી બજાર ખાતેના વતની છે, જ્યારે અલિફિયા ભાયંદરની રહેવાસી છે.
નશીલા પદાર્થની દાણચોરીની માહિતીને આધારે એઆઈયુના અધિકારીઓએ મંગળવારની રાતે હૉંગકૉંગથી ફ્લાઈટમાં મુંબઈ પહોંચેલા શેખ દંપતીને રોક્યું હતું. બન્નેના સામાનની તપાસ કરતાં તેમાંથી પચીસ પૅકેટ મળી આવ્યાં હતાં. ચકાસણીમાં એ પૅકેટમાં ગાંજો હોવાનું જણાયું હતું. દંપતી પાસેથી અંદાજે પચીસ કિલો ગાંજો જપ્ત કરાયો હતો, જેની કિંમત પચીસ કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બૅન્ગકોકથી લવાયેલો 8 કરોડનો ગાંજો જપ્ત:સુરતની મહિલા સહિત ત્રણની ધરપકડ…
શાકિર અને તબસ્સુમની પ્રાથમિક પૂછપરછમાં અધિકારીને જાણવા મળ્યું હતું કે આ ગાંજાનાં પૅકેટ ઍરપોર્ટના એક્ઝિટ ગેટ બહાર ઊભેલી એક મહિલાને આપવાનાં હતાં. માહિતીને આધારે અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું. દંપતી ઍરપોર્ટ બહાર નીકળ્યું ત્યારે પૅકેટ લેવા તેમની નજીક આવેલી મહિલાને અધિકારીઓએ પકડી પાડી હતી. મહિલાની ઓળખ અલિફિયા રામપુરવાલા તરીકે થઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની ડિલિવરી માટે અલિફિયા વૉટ્સઍપ કૉલથી શેખના સંપર્કમાં બની હતી. વૉટ્સઍપ કૉલ લોગ્સ પુરાવા તરીકે તાબામાં લેવાયા હોવાનું અધિકારીનું કહેવું છે. સુરતનું દંપતી ઈઝી મનીના ચક્કરમાં ગાંજાની તસ્કરીમાં સંડોવાયું હોવાનું તપાસમાં જણાયું હતું.