માનો જીવ કેમ ચાલ્યો હશેઃ સુરતમાં માતાએ પુત્રને ઝેર પિવડાવી પોતે પણ પીધું…

સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સયથી આપધાતના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જીવ ટૂંકાવવાની વધતી ઘટના ચિંતાનો વિષય છે. આ સુરતથી ફરી એક વખત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના લસકણા વિસ્તારમાંથી એક માતાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને પોતે પણ તે દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાએ સ્થાનિક સમુદાયને હચમચાવી દીધો છે.
સુરતના લસકણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને ઝેરી દવા આપી અને પછી પોતે પણ તે દવા ગળી લીધી. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને માતા-પુત્રને બેભાન હાલતમાં જોઈ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. દુઃખદ રીતે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું, જ્યારે મહિલાને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી.
લસકણા પોલીસે કેસની ગંભીરતા ધ્યાને રાખી આપઘાતનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આસપાસના લોકો પાસેથી માહિતી એકત્ર કરી રહી છે અને ઘરમાંથી કોઈ સ્યુસાઇડ નોટ મળી છે કે કેમ તેની તપાસ કરી રહી છે. આ ઘટના મહિલાની માનસિક સ્થિતિ, પારિવારિક સમસ્યાઓ કે અન્ય કોઈ દબાણને કારણે બની હોઈ શકે તેવું પ્રાથમિક અનુમાન છે, પરંતુ પોલીસ હજુ આ બાબતે વધુ ખુલાસો કરી શકી નથી.
સુરત જેવી આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, જે માનસિક સ્વાસ્થ્ય, આર્થિક દબાણ અને સામાજિક સમસ્યાઓના મુદ્દાઓને ઉજાગર કરે છે. આવી ઘટનાઓ રોકવા માટે સમાજમાં જાગૃતિ, માનસિક સ્વાસ્થ્ય સેવાઓની સુલભતા અને સરકારી હસ્તક્ષેપની જરૂર છે.
આ પણ વાંચો…સુરતના ટ્રકડ્રાયવરને પત્નીની ફેક એક્ટિંગ નડી ગઈઃ આવું નાટક કરી લીધો ભોળા મિત્રનો જીવ