સુરત

સુરતમાં કોંગ્રેસ નેતાએ કર્યો આપઘાતનો પ્રયાસ! જાગૃત નાગરિકના કારણે બચ્યો જીવ

ગંભીર બીમારીથી કંટાળી બ્રિજ પરથી કૂદી ગયા હતાં, ફાયર વિભાગે સત્વરે પહોંચી તાપી નદીમાંથી રેસ્ક્યૂ કર્યું

સુરતઃ અહીંના એક જાણીતા કોંગ્રેસ નેતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગુરુવારના રાત્રિએ વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મુકીને જીવનને લીલી સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એક જાગૃત નાગરિક દ્વારા સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવતા તેમનો બચાવ કરી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની સમયસરની કાર્યવાહીને કારણે એ વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. તેમની ઓળખ
કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાસા તરીકે કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડની ટીમ સત્વરે પહોંચી જીવ બચાવી લીધો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાસા મોડી રાત્રે વરિયાવ બ્રિજ પર આંટા મારતા હતાં આ દરમિયાન એક વ્યક્તિએ વીડિયો બનાવ્યો હતો. યુવકને તેમની પર શંકા ગઈ હોવાથી આ વીડિયો શૂટ કર્યો હતો. વીડિયો શૂટ કરીને તરત જ ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરી દીધી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ સત્વરે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને જીજ્ઞેશ મેવાસાનો જીવ બચાવી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે અંધારામાં પણ નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનું કાઉન્સેલિંગ કરવામા આવ્યું હતું.

મેવાસા ચાર વર્ષથી કેન્સરથી પીડાય છે

કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાસાને ફાયર વિભાગે પાણીમાંથી બહાર કાઢ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, જીજ્ઞેશ મેવાસા છેલ્લા ચાર વર્ષથી કેન્સરથી પીડાતા હતા અને ડિપ્રેશનમાં આવી ગયાં હતા. સિંગણપોર પોલીસે જીજ્ઞેશ મેવાસાનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે મોકલવામાં આવ્યાં હતાં. મહત્વની વાત એ છે કે, સુરતના એક જાગૃત નાગરિકના કારણે જીવ બચાવી લેતા જીજ્ઞેશ મેવાસાના પરિવારે તે વ્યક્તિનો આભાર માન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button