મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ નેતાની અટકાયત: 400 કરોડ પચાવ્યા હોવાનો આરોપ

ભરૂચ: જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 7.30 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 56 ગામોમાં થયેલા આ કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે, અને તપાસ એજન્સીઓ આ મામલે વધુ ખુલાસા કરવા સક્રિય થઈ છે.
કૌભાંડની ફરિયાદ અને અટકાયત
ભરૂચના મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાઓમાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાની ગેરરીતિઓની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જલારામ એન્ટરપ્રાઈઝ (પિયુષભાઈ નુકાણી), મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઈ સભાડ) અને કરાર આધારિત કર્મચારીઓ સામે આરોપો મૂકાવામાં આવ્યા હતા. ભરૂચ પોલીસે આ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવાને ગીર સોમનાથથી અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.
હીરા જોટવા પર આરોપો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હીરા જોટવા પર આદિવાસી વિસ્તારોમાંથી મનરેગા યોજના હેઠળ 400 કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. આ ગંભીર આરોપને લઈ SIT તાપસ ચાલી રહી છે. આ કૌભાંડ પાછળ હીરા જોટવાનો હાથ છે કે કેમ તે દિશામાં તપાસ એજન્સીઓ કામ કરી છે.
હીરા જોટવાનો રાજકીય પ્રવાસ
હીરા જોટવા કોંગ્રેસના અગ્રણી નેતા છે, જેમણે 2022માં જૂનાગઢ લોકસભા બેઠક અને કેશોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ, 2000થી 2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને 2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રહ્યા છે. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે.