CM ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો આરંભ કરાવશે

જૂનાગઢઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અવસરે યુનિટીમાર્ચ – પદયાત્રાનું આયોજન અને આત્મનિર્ભર ભારતના શપથ લેવાશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. જેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 9મી નવેમ્બરે યુનિટીમાર્ચના ભાગરૂપે યોજનારી રાજ્યવ્યાપી પદયાત્રાનો જૂનાગઢથી પ્રારંભ કરાવશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે આ યુનિટી માર્ચનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
1947ની 09મી નવેમ્બરે જૂનાગઢ ભારતમાં ભળ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, 1947ની 09મી નવેમ્બરે જૂનાગઢ નવાબી સાશનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના મહત્વપૂર્ણ યોગદાનથી જૂનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે યુનિટીમાર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ પદયાત્રાનો રવિવારે સવારે 7 કલાકે પ્રારંભ કરાવશે તે વેળાએ જૂનાગઢ જિલ્લા પ્રભારી, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા સહ પ્રભારી, કાયદા રાજ્ય પ્રધાન કૌશિકભાઇ વેકરીયા તથા જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા અને ધારાસભ્ય તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં કોણ કોણ ભાગ લેવાનું છે?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ પદયાત્રામાં સમાજના તમામ વર્ગો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, માય ભારત વોલંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાનો, સ્થાનિક સાધુ-સંતો, ઇન્ફ્લુએન્સર્સ, પૂર્વ સૈનિકો અને પરિવાર, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો સહભાગી થશે અને આત્મનિર્ભર ભારતના શપથ લેવાના છે. જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.



