રાજકોટ મ.ન.પા.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિરોધ પક્ષના કોર્પોરેટરને પ્રવેશબંધી કરાતા પોલીસ સાથે ઘર્ષણ
![Clash with police after barring an opposition corporator from Rajkot MNP standing committee meeting](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/Dhiraj-2024-03-07T154739.677.jpg)
રાજકોટ: આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈને અપેક્ષા મુજબ જ પ્રવેશ બંધી કરવામાં આવી હતી.
અગાઉ વશરામભાઈ સાગઠીયા અને કોમલ ભારાઈ પક્ષ પલટા ધારા હેઠળ વિલંબિત થયા હતા અને ત્યાર પછી હાઇકોર્ટમાં જઈ ન્યાય મેળવી અને ફરી કોર્પોરેટર તરીકે માન્યતા મેળવી હતી.
ત્યાર પછીની આ પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈને મિટિંગમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને પોલીસ ખાતાએ બહારથી જ તેમને રોકી અને અટકાયત કરી હતી. વશરામ સાગઠીયા એ પોલીસ ખાતા પાસે મને રોકવાનું કોઈ લેખિત આધાર હોય તો રજૂ કરો તેવી માગણી કરી હતી પરંતુ તે પૂરી થઈ ન હતી. કાયદાકીય રીતે હું પ્રજાનો સેવક છું અને હાઇકોર્ટે જ્યારે મને ફરી કોર્પોરેટર પદ પાછું આપ્યું છે ત્યારે કોર્ટના હુકમનો અનાદર પોલીસ ખાતું કઈ રીતે કરી શકે તેવી પણ વાત ઉચ્ચારી હતી. ઘણા સંઘર્ષ બાદ તેમની અને કોમલબેન ની અટકાયત કરવામાં આવી હતી.
આમ કોંગ્રેસના બે કોર્પોરેટર વગર જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂરી થઈ હતી. જોઈએ હવે પછીના સમયમાં વશરામ સાગઠીયા કાયદાનું શરણ લે છે કે નહીં અને મેયર તથા સેક્રેટરી ઉપર કોર્ટના હુકમના અનાદરનો કેસ કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વહીવટી કામગીરી હજી પૂર્ણ થઈ નથી જેથી તેમની સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી વશરામ સાગઠીયા એ પ્રક્રિયા પૂર્ણ કરશે પછી તેમને સ્ટેન્ડિંગ કમિટીમાં જનરલ બોર્ડમાં બેસવા દેવામાં આવશે.