સાંજ સુધીમાં ત્રણેય ગુજરાતીના મૃતદેહ પરિવારજનોને સોંપાશે, હર્ષ સંઘવીએ કહી આ વાત

ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. પહેલગામમાં આતંકી હુમલાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે. પીએમ સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. તેમની ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો પણ આવો જ જવાબ આપવામાં આવશે.
હર્ષ સંઘવીએ શું કહ્યું
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીના મૃત્યુ થયા છે. ધર્મના આધારે આતંકીએ કરેલો હુમલો કાયરતાનું પ્રદર્શન છે. કાશ્મીરથી ગુજરાતીઓને સહી સલામત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક એકને વીણીને જવાબ આપવામાં આવશે. જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે
ગુજરાત સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને કોઇ અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. વિશેષ આર્મી પ્લેન દ્વારા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના મૃતદેહોને ગુજરાત લવાશે. મૃતદેહ પહેલા મુંબઇ અને ત્યાંથી અમદાવાદ ખાતે લાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે. સાંજ સુધીમાં તમામ લોકોનાં મૃતદેહ તેમના પરિવારને મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો…પત્નીની સામે જ આતંકીઓએ પતિને મારી ગોળી, 2 મહિના પહેલા જ થયા હતા શુભમના લગ્ન