દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ફૂડમાંથી નીકળી માખીઃ પ્રવાસીએ રેલવેની કરી ફરિયાદ
![Another complaint of maggots in railway food, traveler shares video](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-10T151128.729.jpg)
અમદાવાદઃ ભારતીય રેલવે કિફાયતી ટિકિટોમાં પ્રવાસની સારી સુવિધા આપે છે. આજકાલ રેલવેના ટોઈલેટ્સથી માંડી સ્ટેશન પણ સ્વચ્છ હોય છે, પરંતુ ભોજનની વાત આવે ત્યારે રેલવેની સેવાઓથી પ્રવાસીઓ તદ્દન અસંતુષ્ટ છે. વારંવાર ભોજનમાં કીડા હોવાનું કે વાસી ખોરાક હોવાની ફરિયાદો થતી રહે છે. ફરી આવી એક ફરિયાદ બહાર આવી છે.
દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની ટ્રેન (દિલ્હી અમદાવાદ રાજધાની)માં મુસાફરી કરી રહેલા મુસાફરના ભાતમાંથી માખી દેખાઈ હતી. ખરેખર, અમદાવાદનો એક મુસાફર દિલ્હીથી ટ્રેનમાં આવી રહ્યો હતો. પ્રવાસીએ રેલવે પેન્ટ્રીમાંથી ભોજન ઓર્ડર કર્યું હતું, પણ તેને ભાતમાં મરેલી માખી દેખાણી. રેલવે પ્રશાસનને ફરિયાદ કરી પણ કોઈએ ધ્યાનમાં વાત લીધી નહોતી. આ પછી પેસેન્જરે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો.
આપણ વાંચો: ચેન્નઈના રેલવે સ્ટેશન પરથી રૂ.4 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, BJP કાર્યકર સહિત 3ની ધરપકડ
મળતી માહિતી મુજબ અમદાવાદના રહેવાસી પ્રદીપ કુમાર ઝા રાજધાની એક્સપ્રેસના B-10 કોચની સીટ નંબર 48 પર મુસાફરી કરી રહ્યા હતા. પ્રદીપ કુમાર 9 એપ્રિલે દિલ્હીથી અમદાવાદ ટ્રેનમાં ચડ્યા હતા. રાત્રે 9 વાગ્યે ટ્રેનમાં ભોજન પીરસવામાં આવ્યું હતું.
ખોરાકમાં માખીથી પરેશાન થયેલા એક મુસાફરે તેનો વીડિયો ઉતાર્યો અને ફરિયાદ કરવા માટે વીડિયો IRCTCના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
આ ઘટના બાદ કોચમાં હાજર અન્ય ઘણા લોકોએ પણ ભોજન લીધું ન હતું. આ બાબતે લોકોનું કહેવું છે કે IRCTC દ્વારા ખાદ્યપદાર્થોનું જંગી બિલ વસૂલ્યા બાદ પણ આ પ્રકારની બેદરકારી કરવામાં આવી રહી છે.
વર્ષો પહેલા રેલવેની મુસાફરી એટલા માટે આનંદદાયક હતી કે પ્રવાસીઓને દરેક રેલવે સ્ટેશન પર જે તે ગામ શહેરની વાનગીઓ ખાવા મળતી. રેલવેએ ફેરીયાઓની કનડગત હટાવવા પોતાનું ફૂડ આપવાનું શરૂ કર્યુ, પરંતુ ગુણવત્તા મામલે પ્રવાસીઓને સંતોષી શકી નથી.