આખાય રાજકોટને ખબર છે કે સાગઠિયા ભ્રષ્ટ માણસ છે: રામ મોકરિયા

રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 28 જિંદગીઓ હોમાઈ ગયા બાદ સમગ્ર રાજ્ય અને દેશભરમાં તેના પડઘા પડ્યા છે. જો કે ભાજપના મોટા નેતાઓએ આ મામલે ભેદી મૌન જાળવ્યું છે, તેમ છતાં કેટલાક નેતાઓ આખાબોલા છે. આ નેતાઓ બિન્દાસ્ત બોલવામાં માને છે. તેમાં એક છે રામ મોકરિયા. ભાજપના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ પૂર્વ ટાઉન પ્લાનર (ટીપીઓ) મનસુખ ડી. સાગઠિયાને લઈ નિવેદન કરતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપના સાંસદ રામ મોકરિયાએ અગ્નિકાંડને લઈને મોટો ધડાકો કર્યો છે, તેમણે કહ્યું કે નોટિસના નામે અધિકારીઓ વહીવટ કરે છે. સમગ્ર રાજકોટને ખબર છે સાગઠીયા ભ્રષ્ટ અધિકારી છે. 75 હજાર રૂપિયાના પગારમાં કેવી રીતે કરોડોની મિલકત આવી ગઈ તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે અમુક લોકોની ભલામણથી સાગઠિયાને રાજકોટમાં રાખવામાં આવ્યો છે. આ અગ્નિકાંડ દુર્ઘટના નહીં પણ મોટી ભૂલ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાંસદ રામભાઈ મોકરિયાએ અધિકારીઓ અને અગ્નિકાંડ મામલે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમને ખુદ એકરાર કર્યો હતો કે ભ્રષ્ટાચાર વધ્યો છે. રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે ફાયર એનઓસી માટે મેં પણ પૈસા આપ્યા હતા.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ કાંડમાં ફરજ બેદરકાર એવા રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ્ર પૂર્વ ટાઉન પ્લાનર (ટીપીઓ) મનસુખ ડી. સાગઠિયા સામે અંતે કાયદાનો સિકંજો કસાયો છે. છેલ્લા બે દિવસથી નજરકેદ કરાયેલા આ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાને મોતના માચડામાં જવાબદાર અને પાપના ભાગીદાર એવા અન્ય સાથી એટીપી મુકેશ મકવાણા, ગૌતમ જોષી તેમજ ફાયર બ્રિગેડના ઓફિસર રોહિત વિગોરાની ગઇકાલે ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ ચારેય સરકારી બાબુઓને આજે રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.