એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: ટ્રમ્પ ઈરાન પર ઓળઘોળ થયા તેમાં ભારતને ફાયદો

-ભરત ભારદ્વાજ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થતાં વિશ્વમાં એક મોરચે શાંતિ થઈ છે. આ યુદ્ધવિરામ કેટલું ટકશે એ ખબર નથી પણ આ યુદ્ધનું એક સારું પરિણામ ડોનલ્ડ ટ્રમ્પના વલણમાં આવેલો ફેરફાર છે. દુનિયાના બીજા કોઈ દેશની ખબર નથી પણ ભારત માટે આ ફેરફાર સારો સાબિત થઈ શકે છે કેમ કે ટ્રમ્પે ઈરાન પરનો ક્રૂડ ઓઈલના વેચાણનો પ્રતિબંધ હટાવી દેવાનું એલાન કર્યું છે.

ટ્રમ્પની જાહેરાત પછી વ્હાઇટ હાઉસના અધિકારીએ એવી સ્પષ્ટતા કરી કે આ ઈરાન પર યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાં રાહતની જાહેરાત છે એમ ના સમજવું. અલબત્ત વ્હાઈટ હાઉસ તરફથી કરાયેલી સ્પષ્ટતાનો અર્થ એવો કઢાઈ રહ્યો છે કે, ઈરાન દુનિયાના બીજા દેશોને ક્રૂડ ઓઈલ વેચી શકશે પણ બીજા પ્રતિબંધો ચાલુ રહેશે. અમેરિકાએ ઈરાન પર બીજા દેશો સાથે વ્યાપારથી માંડીને પરમાણુ કાર્યક્રમને રોકવા સહિતના જાત જાતના પ્રતિબંધો મૂક્યા છે. ટ્રમ્પની જાહેરાત માત્ર ક્રૂડ ઓઈલ પૂરતી છે તેથી બીજા પ્રતિબંધો નહીં હટે એવું અર્થઘટન કરાઈ રહ્યું છે ને આ અર્થઘટન ખોટું પણ નથી.

ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યું કે, ઈરાન ક્રૂડ ઓઈલનો વેપાર કરે છે તેને હું ઇચ્છું તો રોકી શકું છું પણ હું ઈરાનને ક્રૂડ ઓઈલનું વેચાણ કરતાં રોકવા માગતો નથી. યુદ્ધના કારણે થયેલા નુકસાનમાંથી બહાર નીકળવા માટે ઈરાને ક્રૂડ ઓઈલ વેચવું જરૂરી છે. આ સંજોગોમાં ચીન ઈરાન પાસેથી ઓઈલ ખરીદે તો અમને કોઈ સમસ્યા નથી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી

દુનિયાના બીજા કોઈ દેશનો ટ્રમ્પે ઉલ્લેખ કર્યો નથી પણ ઈરાન પાસેથી ચીન ક્રૂડ ઓઈલ ખરીદી શકે તો ભારત પણ ખરીદી જ શકે એ કહેવાની જરૂર નથી. ડોનલ્ડ ટ્રમ્પે નેધરલેન્ડ્સમાં નાટો સમિટમાં આશ્ર્ચર્યજનક રીતે ઈરાનનાં વખાણ કરીને એવું પણ કહ્યું કે, ઈરાને યુદ્ધમાં ભારે બહાદુરી બતાવી છે.

ટ્રમ્પ ઈરાન પર ઓળઘોળ થયા તેનું કારણ એ છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે આવતા અઠવાડિયે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વાતચીત શરૂ થવાની છે. ટ્રમ્પે એ પહેલાં જ ઈરાન તરફ કૂણું વલણ અપનાવીને સંકેત આપ્યો છે કે, પોતે હવે ઈરાન સામે આક્રમક વલણ અપનાવવા નથી માગતા અને શાંતિ ઈચ્છે છે. ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ ઈચ્છે છે તેનું કારણ પહેલાં ઈઝરાયલ અને પછી અમેરિકાના ઈરાન પરના હુમલામાં મળેલું પરિણામ છે. ઈઝરાયલ-અમેરિકાએ ઈરાનનાં પરમાણુ મથકોને નિશાન બનાવીને કરેલા હુમલા ભારે સફળ થયાનું કહેવાય છે. આ બંનેના હુમલાએ ઈરાનનાં પરમાણુ મથકોને સાફ કરી નાખ્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે.

અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએએ સત્તાવાર રીતે કહ્યું છે કે, ઈઝરાયલ-અમેરિકાના ઈરાન પરના તાજેતરના હુમલાથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને મોટું નુકસાન થયું છે. ડોનલ્ડ ટ્રમ્પ અને તુલસી ગેબાર્ડ પણ કહી ચૂક્યાં છે કે, ઈરાનનાં મહત્ત્વનાં પરમાણુ મથકોનો નાશ થયો છે અને આ પરમાણુ મથકોને ફરી ઊભાં કરવામાં ઘણાં વર્ષો નીકળી જશે તેથી હાલ પૂરતો ઈરાનના પરમાણુ કાર્યક્રમનો ખતરો ટળી ગયો છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઈરાન હોરમુઝ ખાડી બંધ કરે તો યુદ્ધ ભીષણ બને…

ઈઝરાયલે પણ આ જ વાત દોહરાવી છે. ઈઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદે ઈરાન સામેના 12 દિવસના જંગને ઐતિહાસિક ગણાવીને એલાન કર્યું છે કે, આ હુમલાના કારણે ઈરાનનો દાયકાઓ જૂનો ખતરો સમાપ્ત થઈ ગયો છે કેમ કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લગતી સમગ્ર સિસ્ટમને ભારે નુકસાન થયું છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઘણાં
વર્ષો પાછળ ધકેલાઈ ગયો છે તેથી ચિંતા કરવાની
જરૂર નથી.

ઈરાનના વિદેશ મંત્રાલયે પણ અલ જઝીરાને કહ્યું કે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સતત હુમલાઓથી તેમના પરમાણુ મથકોને ગંભીર નુકસાન થયું છે. અલબત્ત ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એસોસિએશન (IAEA) ના વડા રાફેલ ગ્રોસી અમેરિકા અને ઈઝરાયસની વાત સાથે સહમત નથી. તેમના કહેવા પ્રમાણે, ઇઝરાયલી અને અમેરિકી હુમલાઓએ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ માત્ર થોડા મહિનાઓ માટે પાછળ ધકેલાયો છે. ઈરાને 40 પરમાણુ બોમ્બ બનાવી શકાય એટલું એનરિચ્ડ યુરેનિયમ સગેવગે કરી નાખ્યું હોવાના પણ અહેવાલ છે.

આ સંજોગોમાં ઈરાન અમેરિકાને ફોસલાવવા માટે પરમાણુ મથકોને નુકસાન થયું હોવાની વાત કરતું હોય એ શક્ય છે. એક તરફ ઈરાન પોતાને નુકસાન થયાની વાત કરે ને બીજી તરફ ભૂતકાળની જેમ ખાનગીમાં પોતાનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખે એ શક્ય છે. ખરી રીતે જોઈએ તો તેના કારણે દુનિયાને કોઈ નુકસાન નથી કેમ કે ઈરાન પોતાની સુરક્ષા માટે બોમ્બ બનાવી રહ્યું છે. કોઈ દેશ સામે તેનો ઉપયોગ કરવા જતાં પોતે ખતમ થઈ જશે તેની તેને ખબર જ હોય તેથી ભારતની જેમ કદી તેનો ઉપયોગ ના કરે એ શક્ય છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: વિસાવદરમાં પૂરી તાકાત લગાવવા છતાં ભાજપને નિરાશા મળી

ટ્રમ્પ આણિ મંડળીને પણ આ વાતની ખબર હશે જ પણ પોતાનો અહમ સંતોષવા તેમણે હુમલા કરાવી દીધા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરી દીધો એવું એલાન કરીને હીરો બની ગયા. આ હીરોગીરીના કેફમાં ટ્રમ્પે ઈરાનને ક્રૂડ ઓઈલ વેચવાની મંજૂરી પણ આપી દીધી. આ મંજૂરી ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કેમ કે ભારત અને ઈરાનના સંબંધોને ફરી મજબૂત કરવાનો રસ્તો તેના કારણે ખૂલી જશે.

અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા એ પહેલાં ઈરાન અને ભારતના સંબંધો બહુ સારા હતા ને આપણે વરસોથી તેની સાથે ધમધોકાર વેપાર કરતા હતા. ભારત અને ઈરાન વચ્ચે સૌથી મોટો વેપાર ક્રૂડ ઓઈલનો હતો. ઈરાન ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ક્રુડ સપ્લાયર હતો. ભારત ઈરાન પાસેથી દરરોજ 4.25 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લેતું હતું. ભારતની ક્રૂડ જરૂરિયાતના 25 ટકા ક્રૂડ ઈરાનથી આવતું અને વરસે 1200 કરોડ ડૉલરનો ક્રૂડ ઓઈલનો કારોબાર હતો.

ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવામાં ઘી-કેળાં હતાં કેમ કે આપણને ઈરાન પાસેથી સસ્તા ભાવે ક્રૂડ મળતું ને ઉધારમાં મળતું. ઈરાન ડૉલરના બદલે ભારતીય ચલણ પણ સ્વીકારતું અને ક્રૂડના બદલામાં ભારતનો માલ પણ લેતું તેથી આપણા માટે ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી ફાયદાનો સોદો હતો. ભારત અને ઈરાન વચ્ચે ક્રૂડનો મોટો વેપાર હતો એટલે ઈરાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ પણ ભારતને મળતા. ભારતના હજારો કામદારો ઈરાનમાં કામ કરતા અને રેમિટન્સની જંગી આવક પણ થતી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: અમેરિકાની ઝાટકણી, પાકિસ્તાનને ઈરાન પર કેમ હેત ઊભરાયું?

હવે ટ્રમ્પ ઈરાનને ક્રૂડ વેચવાની છૂટ આપી રહ્યા છે તેના કારણે ભારત અને ઈરાન વચ્ચે ફરી સંબંધો સારા બની શકે ને ફરી ભારત આ બધા ફાયદા મેળવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button