એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી

-ભરત ભારદ્વાજ

કૉંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કૉંગ્રેસ પશ્ચાતાપથી નહીં પણ ભાજપ પર પ્રહારો કરીને ભૂલાવવા માગે છે. આડકતરી રીતે કૉંગ્રેસ પોતે ભાજપ કરતાં બહેતર છે એવું સાબિત કરવા મથે છે. આ દયનિય માનસિકતા કહેવાય અને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને 50 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ભાજપે કરેલા પ્રહારોનો જવાબ આપતાં કૉંગ્રેસે કરેલાં નિવેદનો આ વાતનો પુરાવો છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓએ 25 જૂન, 1975ના રોજ લદાયેલી કટોકટી બદલ દર વરસની જેમ આ વરસે પણ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, કટોકટી દરમિયાન બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કેવી રીતે કરવામાં આવ્યું હતું એ વાત કોઈ પણ ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં. ભાજપના બીજા નેતાઓએ પણ કટોકટી બદલ કૉંગ્રેસની ઢોકળી ધોઈ નાખી ને તેમાં કશું ખોટું નથી.

ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી આ દેશના ઈતિહાસમાં સૌથી કલંકિત પ્રકરણ છે. ઈન્દિરા ગાંધીની સત્તાલાલસા સંતોષવા લદાયેલી કટોકટી દરમિયાન કૉંગ્રેસ સરકારે લોકશાહીનું ગળું ટૂંપી નાંખ્યું હતું. કૉંગ્રેસ વિરોધી પક્ષ તરીકે ભાજપ કૉંગ્રેસના આ મહાપાપની વાત કરે એ યોગ્ય જ છે પણ કોગ્રેસને આ વાત પચી નથી ને કૉંગ્રેસની ઇન્દિરા ગાંધીની સરકારે લાદેલી કટોકટી માટે માફી માગવાની તૈયારી પણ નથી તેથી કૉંગ્રેસે જૂનો ને જાણીતો અઘોષિત કટોકટીનો રાગ આલાપી દીધો.
ભાજપે કટોકટીની વર્ષગાંઠને ‘સંવિધાન હત્યા દિવસ’ ગણાવી તેનાથી ગિન્નાયેલી કૉંગ્રેસે આક્ષેપ મૂક્યો છે કે, છેલ્લા 11 વર્ષથી એટલે કે 2014થી ભારતીય લોકશાહી પર વ્યવસ્થિત અને ખતરનાક એવા પાંચ પ્રકારના હુમલા થયા છે. કૉંગ્રેસે આ સમયગાળાને અઘોષિત કટોકટી 11 ગણાવીને કહ્યું છે કે, મોદી સરકાર સંસદને નબળી બનાવી રહી છે અને સંસદીય ધારાધોરણોનો સતત ભંગ કરી રહી છે.

જાહેર ચિંતાના મુદ્દા ઉઠાવનારા સાંસદોને મનસ્વી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્ત્વના કાયદાઓને બુલડોઝર દ્વારા દૂર ધકેલી દેવામાં આવે છે અને સંસદીય સમિતિઓને બાયપાસ કરવામાં આવી રહી છે. કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશના કહેવા પ્રમાણે મોદી સરકાર અનિયંત્રિત દ્વેષપૂર્ણ વર્તન કરી રહી છે અને નાગરિક સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે.
જયરામ રમેશના કહેવા પ્રમાણે, મોદી શાસનનાં 11 વર્ષ દરમિયાન વિરોધ કરી રહેલા ખેડૂતો પર ખાલિસ્તાની હોવાનાં લેબલ લગાવવામાં આવ્યા છે અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના હિમાયતીઓને શહેરી નક્સલી ગણાવીને જેલમાં ધકેલાયા છે.
મહાત્મા ગાંધીના હત્યારાઓ હીરો બની ગયા છે અને મુસ્લિમ સહિતની લઘુમતીઓ ફફડાટમાં જીવે છે. તેમને તેમના જીવન અને સંપત્તિ ક્યારે છિનવાઈ જશે તેનો સતત ડર સતાવે છે. દલિતો અને અન્ય વંચિતોને નિશાન બનાવવામાં આવ્યાં છે, અને નફરતભર્યા ભાષણો આપતા મંત્રીઓને પ્રમોશનથી નવાજવામાં આવ્યા છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: કૉંગ્રેસે મોદી પર ભરોસો રાખવો જોઈએ, મહાજૂઠા ટ્રમ્પ પર નહીં

વિપક્ષની આગેવાની હેઠળની રાજ્ય સરકારોને તોડી પાડવા પૈસાના પાવરનો ઉપયોગ કરાય છે અને વિપક્ષ શાસિત રાજ્યોમાં બિલોને અવરોધવા અને યુનિવર્સિટી નિમણૂકોમાં દખલ કરવા માટે રાજ્યપાલના કાર્યાલયનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને તેમના યોગ્ય મહેસૂલ હિસ્સાથી વંચિત રાખવા માટે સેસનો વધુ પડતો ઉપયોગ કરીને બંધારણીય નાણાકીય વ્યવસ્થાઓને તહસનહસ કરી નાખી છે એવો આક્ષેપ પણ રમેશે કર્યો છે.

કૉંગ્રેસના આક્ષેપોમાં કોઈ દમ નથી. કૉંગ્રેસ વરસોથી આ ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડ્યા કરે છે ને આ દેશના મતદારો તેને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. કૉંગ્રેસના આક્ષેપો સામે પણ વાંધો નથી કેમ કે કૉંગ્રેસ આ દેશમાં મુખ્ય વિપક્ષ છે. મુખ્ય વિપક્ષ તરીકે તેને સત્તાધારી પક્ષની સાચી-ખોટી ભૂલોની વાત કરવાનો અધિકાર છે.

આ દેશમાં હજુ લોકશાહી છે તેથી કૉંગ્રેસ ભલે એ અધિકારનો ઉપયોગ કરતી પણ આઘાત એ જોઈને લાગે છે કે, કૉંગ્રેસ પોતાના કટોકટીના પાપને છાવરવા માટે આ આક્ષેપો કરે છે. કૉંગ્રેસને પોતે ખોટું કર્યું., આ દેશમાં લોકશાહીની પત્તર ફાડી નાખી તેનો લેશમાત્ર પસ્તાવો નથી. ઊલટાનું ભાજપ પોતાના કરતાં પણ ખરાબ છે એં સાબિત કરવા હવાતિયાં માર્યા કરે છે. આ હવાતિયાંથી કૉંગ્રેસનું કટોકટીનું મહાપાપ ધોવાવાનું નથી. કટોકટી આ દેશના ઈતિહાસનું કલંકિત પ્રકરણ છે અને રહેશે.
કટોકટી કાળ અને નરેન્દ્ર મોદીના શાસનકાળની કૉંગ્રેસની સરખામણી પણ અત્યંત હાસ્યાસ્પદ છે. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી પછી માત્ર વિપક્ષના જ નહીં પણ પોતાની સામે અવાજ ઉઠાવનારા કૉંગ્રેસના તમામ નેતાઓને પણ જેલમાં ધકેલી દીધા હતા. મોદીના શાસનમાં તો ભ્રષ્ટાચાર કરનારા કૉંગ્રેસના નેતાઓ પણ બહાર છૂટથી ફરે છે કેમ કે કાયદો કામ કરે છે. ભારતમાં કાયદાનું પાલન કરાવનારી એજન્સીઓથી માંડીને ન્યાયતંત્ર સુધીનું બધું કાચબા ગતિએ ચાલે છે તેનો ફાયદો ભ્રષ્ટ નેતાઓને મળી રહ્યો છે. બાકી કટોકટી હોત તો એ બધા જેલમાં હોત.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી

કટોકટી વખતે અખબારોનાં મોં બંધ કરી દેવાયેલાં અને સેન્સરશિપ લાદી દેવાઈ હતી. સરકારની વિરુદ્ધ લખનારા પત્રકારોને પણ ઉઠાવીને જેલમાં નાખી દેવાતા ને અખબારોનાં વીજળી કનેક્શન કાપી દેવા સુધીની નીચ હરકતો કરાઈ હતી.
સંજય ગાંધી કે કૉંગ્રેસની ભક્તિ નહીં કરનારા નિર્માતાઓની ફિલ્મો રિલીઝ નહોતી થતી ને કલાકારોનાં ગીતો સરકારી ઓલ ઈન્ડિયા રેડિયો પર બંધ કરી દેવાયાં હતાં. અત્યારે એવી કોઈ સેન્સરશિપ નથી ને અખબારો મોદી સરકારની આકરી ટીકા કરી જ શકે છે. મોદીની વ્યક્તિગત ટીકા કરનારને પણ સત્તાનો મદ બતાવીને જેલમાં નથી ધકેલવામાં આવતા.

કટોકટી વખતે સંજય ગાંધી અને તેમની ટોળી ફાટીને ધુમાડે ગઈ હતી. રિઝર્વ બેંકનો રૂપિયો તેમના બાપનો માલ હોય એ રીતે સંજય ગાંધીના મારૂતિના તુક્કાને પોષવા વપરાતો હતો. દિલ્હીને ખૂબસૂરત બનાવવા માટે ગરીબોમાં ઘરો પર બુલડોઝર ફેરવીને તેમને બેઘર કરી દેવાયાં હતાં અને કુટુંબ નિયોજનની ધૂનને પોષવા કાચા-કુંવારા છોકરાઓની પણ નસબંદી કરી દેવાતી હતી.

મોદી સરકારની કહેવાતી અઘોષિત કટોકટીમાં આવા કોઈ અત્યાચાર જોવા મળ્યા છે ખરા ? બિલકુલ નહીં.
કૉંગ્રેસે સત્તાવાર રીતે બંધારણને તોડીમરોડીને કટોકટી લાદી હતી. દેશના ઈતિહાસમાં કદી ના જોવા મળ્યો હોય એવો માહોલ ને અંગ્રેજોને પણ સારા કહેવડાવે એવા અત્યાચાર કટોકટી કાળમાં આ દેશે જોયા. કૉંગ્રેસે તેના માટે દેશની માફી માગવી જોઈએ ને પસ્તાવો કરવો જોઈએ.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : મોદી વિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button