એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સ્ટારશિપની સફળતા માનવજાતનો ઈતિહાસ બદલી નાખશે

  • ભરત ભારદ્વાજ

એલન મસ્ક માટે હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેનું પોલિટિકલ હનીમૂન પૂરું થઈ જતાં એલન મસ્ક વ્હાઈટ હાઉસમાંથી ફેંકાઈ ગયા છે ત્યારે બીજી તરફ તેમની કંપનીઓનો દેખાવ પણ કથળી રહ્યો છે તેથી મસ્ક દબાણ હેઠળ છે. આ દબાણ સ્ટારશિપનું સફળ લોચિંગ કરીને હળવું કરાશે એવી મસ્કની ગણતરી હતી પણ સ્ટારશિપનું પરીક્ષણ નિષ્ફળ જતાં મસ્ક પર દબાણ વધ્યું છે.

વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ મનાતા સ્ટારશિપને 28 મેના રોજ સવારે 5 વાગ્યે ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ લોન્ચ થયાની લગભગ 20 મિનિટ પછી સ્ટારશિપે નિયંત્રણ ગુમાવ્યું અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં જ નાશ પામ્યું તેથી સ્ટારશિપનું નવમું પરીક્ષણ નિષ્ફળ ગયું. અત્યાર સુધીમાં કરાયેલાં 9 પરીક્ષણમાંથી 7 પરીક્ષણ નિષ્ફળ ગયાં છે જ્યારે બે સફળ રહ્યાં છે.

સ્ટારશિપ બે ભાગમાં વહેંચાયેલું છે કે જેમાં ઉપલા ભાગમાં સ્પેસશિપ એટલે કે અવકાશયાન છે જ્યારે નીચલા ભાગનાં સુપર હેવી બૂસ્ટર છે. આ બંને પાર્ટને ‘સ્ટારશિપ’ કહેવામાં આવે છે. આ સ્પેસ વ્હીકલની ઊંચાઈ 403 ફૂટ છે અને સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય એવું છે.

સ્ટારશિપમાં બંને ભાગને સાથે છોડવામાં આવે છે પણ પૃથ્વીથી થોડાક ઉપર ગયા પછી સુપર બૂસ્ટર જોરદાર ધક્કો મારીને સ્પેસશિપને ધકેલે તેથી સ્પેસશિપ સીધું તેના નિર્ધારિત સ્થાન તરફ આગળ વધે છે જ્યારે બૂસ્ટર પૃથ્વી પર પાછું આવે છે. બૂસ્ટરનો ફરી ઉપયોગ કરીને નવા સ્પેસશિપને ફરી અવકાશમાં કે બીજા ગ્રહ કે ઉપગ્રહ પર મોકલી શકાય છે. સ્પેસશિપ અવકાશમાં જાય અને પછી પાછું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને નિર્વિઘ્ને ઉતરાણ કરે તો પરીક્ષણ સફળ કહેવાય. સ્ટારશિપ પણ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી પણ ટકી શકે છે નહીં એ સૌથી મહત્ત્વનું છે તેથી અત્યારે તેનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. નવમા પરીક્ષણ વખતે બૂસ્ટરથી સ્પેસશિપ છૂટું થતાં જ સળગી ગયું તેથી પરીક્ષણ નિષ્ફળ ગયું.

એલન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવેલાં સ્ટારશિપનાં છેલ્લાં બે વર્ષથી પરીક્ષણ ચાલે છે. 20 એપ્રિલ, 2023ના રોજ સ્ટારશિપનું પહેલું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં બૂસ્ટર 7 અને શિપ 24 લોન્ચ કરવામાં આવ્યાં હતાં પણ ટેકઓફ થયાની માત્ર 4 મિનિટ પછી સ્ટારશિપમા વિસ્ફોટ થયો હતો. સ્ટારશિપ મેક્સિકોના અખાતથી 30 કિલોમીટર દૂર પહોંચ્યું હશે ત્યાં જ વિસ્ફોટ થતાં સ્પેસશિપના ટુકડા થઈ ગયા ને મિશન નિષ્ફળ ગયેલું.

સ્ટારશિપની નિષ્ફળતા પછી પણ વિજ્ઞાનીઓ ખુશ હતા કેમ કે લોન્ચપેડ પરથી આટલું પાવરફુલ રોકેટ ઉડાન ભરી શકશે કે કેમ તેમાં જ સૌને શંકા હતી. રોકેટે ઉડાન ભરી તેથી બેઝિક્સ બરાબર છે એ સાબિત થયું એટલે બાકીની ખામીઓ તો પછી દૂર કરી લેવાશે એવું મસ્કની કંપનીના વિજ્ઞાનીઓને લાગતું હતું પણ કમનસીબે એવું થયું નથી. છેલ્લાં બે વર્ષમાં એ પછી હાથ ધરાયેલાં મિશનોમાં કોઈ ને કોઈ વિધ્ન આવી જ જાય છે તેથી હજુ ટેસ્ટિંગ જ ચાલ્યા કરે છે.

સ્ટારશિપનું બીજું પરીક્ષણ 18 નવેમ્બર,2023ના રોજ કરાયું ત્યારે અઢી મિનિટ પછી સુપર હેવી બૂસ્ટર અને સ્ટારશિપ છૂટા થયાં. બૂસ્ટર પૃથ્વી પર પાછું ઊતરવાનું હતું પણ પૃથ્વીથી 90 કિમી ઉપર વિસ્ફોટ થતાં તેનો નાશ થયો. સ્ટારશિપમાં પણ લગભગ 8 મિનિટ પછી પૃથ્વીથી 148 કિમી ઉપર ખામી સર્જાતાં તેનો નાશ કરવો પડ્યો હતો. 14 માર્ચ 2024ના ત્રીજા પરીક્ષણ વખતે સ્ટારશિપ ફરીથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ વખતે સળગી ગયેલું.

સ્ટારશિપનું ચોથું પરીક્ષણ 6 જૂન, 2024ના રોજ થયું હતું અને આ મિશન સફળ રહ્યું હતું. સ્ટારશિપ અવકાશમાં ગયું અને પછી પૃથ્વી પર પાછું લાવવામાં આવ્યું. એ પછી તેનું હિંદ મહાસાગરના પાણી પર ઉતરાણ કરવામાં આવ્યું પણ કોઈ નુકસાન નહોતું થયું. એ પછી પાંચમું પરીક્ષણ પણ સફળ થયેલું. સળંગ બે પરીક્ષણ સફળ થયાં પછી વિજ્ઞાનીઓએ નેક્સ્ટ સ્ટેજ માટે ચોક્કસ માપદંડ નક્કી કર્યા હતા. એ પછીનાં પરીક્ષણોમાં આ માપદંડ પળાતા નથી તેથી પરીક્ષણ નિષ્ફળ જાય છે.

મસ્ક આણિ મંડળી અત્યારે પરીક્ષણોમાં લાગેલી છે તેથી ગમે ત્યારે તો સફળ થશે જ પણ જેમ બને એમ જલદી સફળ થાય એ જરૂરી છે કેમ કે સ્ટારશિપ માનવ જાતને એવી છલાંગ લગાવવામાં મદદ કરશે કે જેની આપણે આજ સુધી માત્ર ને માત્ર કાલ્પનિક કથાઓમાં જ કલ્પના કરી છે.

સ્ટારશિપ અવકાશયાન અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના આર્ટેમિસ પ્રોગ્રામનો એક ભાગ છે. સ્ટારશિપ અવકાશયાન મનુષ્યોને આંતરગ્રહીય બનાવશે કેમ કે આ સ્પેસશિપ એક કલાકથી પણ ઓછા સમયમાં બ્રહ્માંડના કોઈપણ ખૂણામાં માણસોને લઈ જવા સક્ષમ હશે.

સ્ટારશિપની મદદથી પહેલીવાર કોઈ માનવી પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર પગ મૂકશે. આર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા માનવજાત પાંચ દાયકા પછી ચંદ્ર પર ફરી ઉતરાણ કરશે અને ચંદ્ર પર માનવજીવન શક્ય બનાવશે. ચંદ્ર પર માનવજીવન શક્ય હોવાના પુરાવા મળ્યા છે તેથી ચંદ્ર પર કોલોની બનાવવનું આયોજન છે. સ્ટારશિપ ચંદ્ર પર મૂન મિશનનો આ અંતિમ તબક્કો પૂર્ણ કરશે. સ્ટારશિપ અવકાશયાત્રીઓને અવકાશયાનથી ચંદ્રની ભ્રમણકક્ષામાં લઈ જશે અને ચંદ્ર પર પણ ઉતરાણ કરશે પછી ચંદ્ર પર માનવ કોલોની બને પછી બીજા ગ્રહો પર પણ માનવજીવન શક્ય બનશે.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેર : મોદીની વાત સાવ સાચી, પાકિસ્તાન શાંતિથી ના રહે તો ગોળી ખાવી જ પડશે

મસ્કનું સપનું ચંદ્ર નહીં પણ મંગળ ગ્રહ પર માનવ કોલોની સ્થાપવાનું છે. મસ્ક 2029 સુધીમાં મંગળ પર માણસોને મોકલવા અને ત્યાં એક વસાહત સ્થાપવા માગે છે. મસ્કનું માનવું છે કે, પૃથ્વી પર જે રીતે પ્રતિકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે એ જોતાં પૃથ્વી પર માનવ જીવનનો અંત આવશે. માનવજાત એ પહેલાં પોતાનું નવું ઠેકાણું ના શોધી લે તો પૃથ્વી પર માવનજીવનના અંતની ઘટના માનવતાના અંત તરફ દોરી શકે છે. જો માણસો મંગળ પર કોલોની બનાવે તો માનવતા ત્યાં ટકી શકશે.

ઘણાંને આ વિચારો તુક્કા જેવા લાગતા હશે પણ પૃથ્વી પરની વણસી રહેલી સ્થિતિને જોતાં ભવિષ્યમાં પૃથ્વી લોકોના રહેવા માટે યોગ્ય નહીં રહે એવું શક્ય છે. પ્રોફેસર સ્ટીફન હોકિંગે તો 2017માં આગાહી કરેલી કે, માનવજાતનું ભાવિ 100 વર્ષથી વધારે નથી. લાખો વર્ષો પહેલાં પૃથ્વી પરના ડાઇનાસોર સહિતના જીવો આ રીતે લુપ્ત થઈ ગયાં હતાં. માનવજાતનો પણ એવો અંત આવે એ પહેલાં બીજા ગ્રહ પર માણસોને મોકલીને માનવ પ્રજાતિને બચાવવાનો વિચાર ખોટો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button