એકસ્ટ્રા અફેરઃ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, વિપક્ષોની ફાટફૂટ બહાર આવી ગઈ

ભરત ભારદ્વાજ
ભારતમાં બીજા નંબરનો સર્વોચ્ચ બંધારણીય હોદ્દો ગણાતા દેશના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી પતી ગઈ અને ધારણા પ્રમાણે જ ભાજપના સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉપલા ગૃહ એવા રાજ્યસભાના ચેરપર્સન તરીકેની ભૂમિકા પણ ભજવે છે તેથી રાધાકૃષ્ણન હોદ્દો સંભાળે પછી પાંચ વર્ષ સુધી બંને હોદ્દા પર કામ કરશે.
જગદીપ ધનખડના અચાનક આવી પડેલા રાજીનામાના કારણે ખાલી પડેલા બંને હોદ્દા માટેની ચૂંટણીમાં સાઉથ વર્સીસ સાઉથનો જંગ હતો. આ જંગ રસપ્રદ બનશે એવું મનાતું હતું.
શાસક મોરચા એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન તામિલનાડુના અને સંયુક્ત વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી તેલંગાણાના છે તેથી ભાજપને ટેકો આપનારા સાઉથના પક્ષોમાં ભંગાણ પડશે ને ભાજપ તરફથી ક્રોસ વોટિંગ થશે એવી વાતો વિપક્ષોએ ચલાવી હતી પણ એવું કશું થયું નથી.
રાધાકૃષ્ણન સરળતાથી જીત્યા છે અને તેમને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદો કરતાં વધારે મત મળ્યા છે તેનો અર્થ એ થયો કે, ક્રોસ વોટિંગ ભાજપ કે તેના સાથી પક્ષોમાંથી નથી થયું પણ વિપક્ષોના સાંસદોએ કર્યું છે.
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરે છે. રાજ્યસભાના નોમિનેટેડ સભ્યો પણ મતદાન કરવા માટે લાયક મનાય છે તેથી કુલ 781 સાંસદ મતદાન કરી શકે તેમ હતા. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવા સાદી બહુમતી જરૂરી છે તેથી જે ઉમેદવારને કુલ મતદારોના અડધા મત વત્તા એક મત મળે એ ઉમેદવાર વિજેતા જાહેર થાય છે.
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પ્રેફરેન્શિયલ મત સિસ્ટમ પણ છે. મતલબ કે દરેક સાંસદ મતપત્રકમાં ઉમેદવારોને પસંદગીના ક્રમ આપે છે. મતગણતરી થાય ત્યારે સૌથી પહેલાં ફસ્ટ પ્રેફરન્સ એટલે કે સાંસદે જેની સામે એકડો લખ્યો હોય એ મતો ગણતરીમાં લેવાય છે.
ફસ્ટ પ્રેફરન્સના મતોથી સાદી બહુમતી મળી જાય તો ઉમેદવાર વિજેતા જાહેર થાય છે પણ ગણતરીના પ્રથમ રાઉન્ડ પછી કોઈ ઉમેદવાર સાદી બહુમતી માટે જરૂરી મતો ના મેળવી શકે તો ગણતરી બીજા રાઉન્ડમાં જાય છે અને એલિમિનેશન પ્રક્રિયા શરૂ થાય છે.
આ પ્રક્રિયા હેઠળ જે ઉમેદવારને સૌથી ઓછા મત મળ્યા હોય તેને બાકાત કરી દેવામાં આવે છે. તેને મળેલા બધા મત બાકીના ઉમેદવારોમાં વહેંચી દેવાય છે. આ વહેંચણીમાં મતદાર એટલે કે સાંસદના સેક્ધડ પ્રેફરન્સને ધ્યાનમાં લેવાય છે તેથી મતદારે જેના નામ સામે બગડો લખ્યો હોય તેને આ મત ફાળવી દેવાય છે.
આ ફાળવણી પછી કોઈ ઉમેદવારને સાદી બહુમતી માટે જરૂરી મતો મળી જાય તો તેને વિજેતા ઉમેદવાર જાહેર કરાય છે પણ સેક્ધડ રાઉન્ડ પછી પણ કોઈને સાદી બહુમતી ના મળે તો બીજા નંબરે સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારને દૂર કરીને તેના મતોમાંથી થર્ડ પ્રેફરન્સના મતો બાકીના ઉમેદવારને વહેંચાય છે.
આ એક પ્રક્રિયા છે પણ અત્યાર સુધી ભારતમાં કદી ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સેક્ધડ પ્રેફરન્સના મતની ગણતરી કરવાની પણ જરૂર નથી પડી.
બે કરતાં વધારે ઉમેદવારો ઊભા રહે એ સંજોગોમાં આ પ્રક્રિયા મહત્ત્વની બને પણ મોટા ભાગે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સીધો જંગ હોય છે ને બે જ ઉમેદવાર હોય છે. આ વખતે પણ સી.પી. રાધાકૃષ્ણન અને સુદર્શન રેડ્ડી એમ બે જ ઉમેદવાર હતા તેથી પહેલા રાઉન્ડમાં જ ફેંસલો થઈ ગયો. આ ફેંસલામાં ભાજપ મેદાન મારી ગયો છે.
આ ચૂંટણી જીતવા માટે બહુમતીનો આંકડો 391 હતો અને શાસક એનડીએ પાસે 422 સાંસદ હતા. જગન મોહન રેડ્ડીની વાયએસઆર કૉંગ્રેસે ભાજપના રાધાકૃષ્ણનને ટેકો આપવાની જાહેરાત પહેલાંથી જ કરી દીધી હતી. રાજ્યસભામાં સાત અને લોકસભામાં ચાર મળીને વાયએસઆર કૉંગ્રેસ પાસે 11 સાંસદ છે.
એનડીએના 422 સાંસદમાં વાયએસઆર કૉંગ્રેસના 11 સાંસદો ઉમેરાય તો કુલ આંકડો 433 પર પહોંચે પણ રાધાકૃષ્ણનને એનડીએની તાકાત કરતાં 30 મત વધારે એટલે કે 452 મત મળ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, વિપક્ષોમાંથી પણ કેટલાક સાંસદે ભાજપના ઉમેદવારને મત આપ્યા છે. આ ચૂંટણીએ ફરી વિપક્ષોની ફાટફૂટ બહાર લાવી દીધી છે.
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પક્ષો કોઈ પક્ષ વ્હિપ નથી આપી શકતી અને મતદાન પણ ગુપ્ત હોય છે તેથી કોણે કોને મત આપ્યો એ ખબર નથી પડતી. આ વખતે પણ કોણે ક્રોસ વોટિંગ કર્યું એ સ્પષ્ટ નથી પણ કૉંગ્રેસની શશિ થરૂર આણિ મંડળી તરફ શંકાની સોય તકાઈ રહી છે.
અલબત્ત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી દ્વારા પોતાના જ ઉમેદવારને મત આપવો એવો વ્હિપ આપી શકાતો નથી તેથી પાર્ટીની લાઈનની વિરુદ્ધ મતદાન કરનાર સામે કોઈ પગલાં લઈ શકાતાં નથી.
આ સંજોગોમાં કોઈ પણ પાર્ટીને પોતાના તરફથી કોણે ક્રોસ વોટિંગ કર્યું તેની ખબર પડે તો પણ કાયદેસરનાં પગલાં લઈ શકાતાં નથી. પક્ષના બંધારણ પ્રમાણે, પક્ષવિરોધી પ્રવૃત્તિ માટેનાં પગલાં લઈ શકાય પણ પક્ષ કાર્યવાહી કરે ત્યારે સાંસદપદ જતું નથી તેથી ક્રોસ વોટિંગ કરનારા સલામત છે. કોઈ તેમનું કશું ઉખાડી નહીં શકે.
રાધાકૃષ્ણનની જીત સાથે જગદીપ ધનખડ હવે ઈતિહાસ બની ગયા છે. ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપ્યા પછી ધનખડ સાવ ખોવાઈ ગયા છે અને તેમનો કોઈ અતોપતો જ નથી.
વચ્ચે તેમણે રાજસ્થાનના ધારાસભ્ય તરીકેનું પેન્શન લેવા માટે અરજી કરી ત્યારે અચાનક લોકોને પાછા યાદ આવી ગયેલા પણ હવે પાછા ભુલાઈ ગયા છે. તેનો અફસોસ કરવા જેવો પણ નથી કેમ કે ધનખડમાં યાદ રાખવા જેવું કશું હતું પણ નહીં.
રાજ્યસભાના ચેરપર્સન તરીકે એકદમ પક્ષપાતી વલણ બતાવનારા ધનખડમાં હોદ્દાની ગરિમા નહોતી ને દેશના બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા પર બેસનારી વ્યક્તિ તરીકેનું ગૌરવ નહોતું.
એ ભાજપના સામાન્ય કાર્યકરની જેમ વર્તતા ને બેફામ લવારા કરતા તેથી તેમની વિદાયથી ઝાડ પડ્યું ને જગા થઈ જેવી હાલત છે. રાધાકૃષ્ણન આ જગા ભરવા આવ્યા છે ત્યારે તેમની પાસેથી સૌથી પહેલી અપેક્ષા એ જ છે કે, બીજા ધનખડ સાબિત ના થાય.
રાધાકૃષ્ણનનો ટ્રેક રેકોર્ડ ધનખડ જેવો નથી. એ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે અને અત્યાર લગી ગૌરવથી વર્ત્યા છે એ જોતાં આ આશા ફળશે એમ માની શકાય. ભારતમાં રાષ્ટ્રપતિપદનો રસ્તો ઉપરાષ્ટ્રપતિ ભવન થઈને જાય છે એવું કહેવાય છે. રાધાકૃષ્ણનનો ટ્રેક રેકોર્ડ જોતાં એ ભવિષ્યમાં રાષ્ટ્રપતિપદના પ્રબળ દાવેદાર બની શકે છે.
આ પણ વાંચો…ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, જાણો તેમની રાજકીય સફર