એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : રાહુલ ગરબડના આક્ષેપો કરે છે પણ પુરાવા ક્યાં છે?

  • ભરત ભારદ્વાજ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ છે. રાહુલે અખબારોમાં લેખ લખીને ભાજપને જીતાડવા માટે કઈ રીતે કહેવાતું ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું તેની વિગતો આપી છે.

રાહુલના દાવા પ્રમાણે ભાજપ અને તેના સાથી પક્ષોએ ચૂંટણી જીતવા માટે કાવતરું ઘડેલું. આ કાવતરામાં કેન્દ્રીય ચૂંટણી પંચ પણ સામેલ હતું. આ બધાંએ ભેગાં મળીને યોજનાબધ્ધ રીતે પગલાં લઈને ભાજપની હારને જીતમાં પલટી નાંખી અને હવે મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મેચ ફિક્સિંગ થશે. રાહુલનું કહેવું છે કે, જે પણ રાજ્યમાં ભાજપ હારશે એવું લાગે ત્યાં ત્યાં આ કાવતરું અમલમાં મૂકી દેવાય છે.

રાહુલે ભાજપ અને ચૂંટણી પંચ બંનેને લપેટ્યાં છે તેથી બંનેએ રાહુલના આક્ષેપોને વાહિયાત ગણાવ્યા છે. ચૂંટણી પંચે રાહુલના દાવાને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો પોતાની તરફેણમાં ના આવ્યાં પછી આવા આક્ષેપો કરવા વાહિયાત છે. કોંગ્રેસે આ આક્ષેપો પહેલાં પણ કરેલા. ચૂંટણી પંચે 24 ડિસેમ્બર 2024ના રોજ કૉંગ્રેસને જવાબ આપ્યો તેમાં આ આક્ષેપોના જવાબ આપી દેવાયા છે અને આ જવાબ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ.

ભાજપે રાહુલ ગાંધીના આરોપોને શરમજનક ગણાવીને વળતો આક્ષેપ કર્યો છે કે, રાહુલ ગાંધી ફરીથી દેશની સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પંચે અગાઉ પણ આ મુદ્દાઓ પર સ્પષ્ટ જવાબ આપ્યો છે છતાં રાહુલ એકની એક રેકર્ડ વગાડ્યા કરે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આશ્ર્ચર્યજનક હતાં તેમાં બેમત નથી. ગયા વર્ષે 23 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં તેમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ 230 બેઠક જીતીને મોટું આશ્ર્ચર્ય સર્જેલું કેમ કે છ મહિના પહેલાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહાયુતિ સાવ ધોવાઈ ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 132, શિવસેનાએ (એકનાથ શિંદે) 57 અને એનસીપી (અજિત પવાર)એ 41 બેઠક જીતી હતી જ્યારે ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એવીએમ)ને માત્ર 46 બેઠક મળી. શિવસેના (ઉદ્ધવ)ને 20 બેઠક, કૉંગ્રેસને 16 અને એનસીપી (શરદ પવાર)ને 10 બેઠક મળી. સમાજવાદી પાર્ટીએ 2 બેઠક જીતી હતી જ્યારે 10 બેઠક અન્ય પક્ષોને મળી હતી.

આ પરિણામો પછી તરત જ કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ કાગારોળ મચાવી જ દીધેલી. ભાજપ અને સાથી પક્ષોએ ગરબડો કરીને ચૂંટણી જીતી હોવાના આક્ષેપ કરીને ઉદ્ધવની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીએ ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરેલી. ચૂંટણી પંચે એ વખતે પણ આ આક્ષેપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધેલા. હવે રાહુલે પાછા એ જ મુદ્દા ઉઠાવ્યા છે ને પંચે એ જ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દા ગંભીર છે તેમાં શંકા નથી પણ તેને સાબિત કરતા કોઈ નક્કર પુરાવા નથી એ પણ હકીકત છે. રાહુલના દાવા પ્રમાણે, ભાજપે પાંચ પગલાં દ્વારા મહારાષ્ટ્રમાં જીતનું કાવતરું પાર પાડ્યું હતું. રાહુલનાં કહેવાતાં પાંચ પગલાં પર નજર નાંખીને તેનું વિશ્ર્લેષણ કરીશું તો રાહુલ નક્કર પુરાવા વિના અધ્ધરતાલ વાત કરી રહ્યા છે એ સમજાશે. રાહુલ ગાંધીએ પોતાના લેખમાં લખ્યું છે કે, ચૂંટણી પંચ પર કબજો, મતદાર યાદીમાં બોગસ મતદારો ઉમેરીને ગોટાળા, ચોક્કસ બેઠકો પર બોગસ મતદાન, મતદાનના આંકડા પહેલેથી જ વધારીને જાહેર કરવા અને પુરાવા છૂપાવવાની કોશિશ એ પાંચ પગલાં ભાજપ તથા તેના સાથી પક્ષોએ લીધાં હતાં.

રાહુલના દાવા પ્રમાણે, 2023માં ભાજપ સરકારે ‘ચૂંટણી કમિશનર નિમણૂક અધિનિયમ’ દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરતી સમિતિમાં ચીફ જસ્ટિસને બદલે એક કેન્દ્રીય મંત્રીને મૂકવાનો નિયમ બનાવતાં નિષ્પક્ષતાનો અંત આવ્યો અને સમગ્ર નિયંત્રણ સરકારના હાથમાં આવી ગયું. રાહુલની વાત મોં-માથા વિનાની છે કેમ કે માત્ર પસંદગીના કમિશનરોની નિમણૂક દ્વારા ચૂંટણીમાં ગોલમાલ ના કરી શકાય. ચૂંટણીની પ્રક્રિયામાં હજારો લોકો સંકળાયેલા હોય છે. સરકારી તંત્રમાં કામ કરતા આ લોકોને ત્રણ ચૂંટણી કમિશનર પોતાની રીતે નચાવી શકે એ શક્ય નથી.

રાહુલનો બીજો આક્ષેપ એ છે કે, મહારાષ્ટ્રમાં પુખ્ત વયનાં એટલે કે મતદાન માટે લાયક લોકો છે તેમના કરતાં વધુ વોટિંગ થયું હતું. ચૂંટણી પંચે સાંજે 5:30 વાગ્યે મતદાનના આંકડા જણાવ્યા પછી સાંજે 5:30થી 7:30 વાગ્યાની વચ્ચે 65 લાખ લોકોએ મતદાન કર્યું હતું. એક મતદારને મતદાન કરવામાં લગભગ ત્રણ મિનિટ લાગે છે એ જોતાં 65 લાખ લોકો બે કલાકમાં મતદાન કરે એ અશક્ય છે. મતદાન મથકમાં કૉંગ્રેસ સહિતના પક્ષોના પોલિંગ એજન્ટો પણ હાજર હોય છે. ઉમેદવારો પોતે પણ પ્રક્રિયા પર નજર રાખતા જ હોય છે એ જોતાં ગરબડ થઈ તો તેની જાણ તાત્કાલિક કેમ ના કરાઈ ? ભાજપ તથા તેના સાથી પક્ષો માટે તમામ પોલિંગ એજન્ટોને ફોડી લેવા અશક્ય છે પણ માનો કે એવું કર્યું હોય તો પણ ઉમેદવારોને પણ ભાજપે ફોડી લીધેલા ?

રાહુલના કહેવા પ્રમાણે, અમે ચૂંટણીની વીડિયોગ્રાફી માગી ત્યારે કમિશને સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ચૂંટણી પંચે નિયમ પણ બદલી નાખ્યો કે જેથી અમે વીડિયોગ્રાફી વિશે વધુ સવાલો પૂછી ન શકીએ. રાહુલનો આ મુદ્દો યોગ્ય છે ને પંચે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ પણ માત્ર વીડિયો ના મળ્યા તેના કારણે મેચ ફિક્સિંગ થયું હોવાનું ના કહેવાય.

આપણ વાંચો:  ચિંતન : શુભ દરેક સ્થાનેથી પ્રાપ્ય કરતાં રહેવું

ચૂંટણી પંચ દૂધે ધોયેલું નથી જ અને તેનો ઈતિહાસ પણ શંકાસ્પદ છે. આ સંજોગોમાં માનો કે, પુરાવા છૂપાવતું હોય તો પણ પુરાવા વિના આક્ષેપ ના કરાય. કૉંગ્રેસે પુરાવા આપવા જોઈએ, પણ તેના બદલે રાહુલ છ મહિનાથી આક્ષેપો જ કર્યા કરે છે. કાગળ પર જ યુધ્ધ લડ્યા કરે છે.

રાહુલે એક વાત સમજવાની જરૂર છે કે, કૉંગ્રેસ તથા તેના સાથી પક્ષો માટે મહારાષ્ટ્રની ચૂંટણી ઢોળાઈ ગયેલું દૂધ છે તેથી તેના પર અફસોસ કરવાનો અર્થ નથી. તેના બદલે રાહુલે ભવિષ્યની ચૂંટણીઓ પર ધ્યાન આપવું જોઈએ. રાહુલને લાગે છે કે, બિહારની ચૂંટણીમાં પણ ભાજપ અને સાથી પક્ષો ગરબડ કરશે તો અત્યારથી આ ગરબડોના નક્કર પુરાવા શોધીને લોકો સામે મૂકી શકાય એવો પાકો બંદોબસ્ત કરવો જોઈએ. ખાલી આક્ષેપબાજી કરવાથી કંઈ ના થાય, ઊલટાનું હાસ્યાસ્પદ ઠરાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button