એકસ્ટ્રા અફેરઃ H1-B વિઝા ફીમાં વધારો, અમેરિકાને નહીં પણ ભારતને જ નુકસાન

ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને નિતનવા ફતવા સૂઝે છે ને ટ્રમ્પનો તાજો ફતવો એચ-વન બી (H-1B) વિઝા માટેની ફીમાં કરાયેલો તોતિંગ વધારો છે. અમેરિકાએ 1990માં H1-B વિઝા આપવાની શરૂઆત કરી હતી. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અથવા જે વિષયોના નિષ્ણાત ના મળતા હોય એવા વિષયોમાં સ્નાતક અથવા ઉચ્ચ શિક્ષણની ડિગ્રી ધરાવતા લોકોને અમેરિકા આ વિઝા આપે છે.
અત્યાર સુધી આ વિઝા માટેની ફી 2000 ડૉલરથી 5000 ડૉલરની વચ્ચે હતી. અમેરિકામાં નોકરી આપનાર કંપનીની સાઈઝના આધારે ફી નક્કી થતી પણ મહત્તમ ફી 5000 ડૉલર હતી તેથી 4.5 લાખ રૂપિયાથી વધારેની ફી ભરવાની નહોતી થતી. ટ્રમ્પને તુક્કો સૂઝ્યો એટલે ફી વધારીને સીધી 1 લાખ ડૉલર (આશરે 88 લાખ રૂપિયા) કરી નાખી છે.
ડોનલ્ડ ટ્રમ્પે શનિવારે આ નવા ફતવા પર સહી કરી ત્યારે પછી એવી વાત બહાર આવી કે, આ ફી દર વરસે ભરવાની થશે. એચ-વન બી વિઝા પર અમેરિકા જનારને સામાન્ય રીતે એકાદ લાખ ડૉલરનાં પેકેજ શરૂઆતમાં મળતાં હોય છે. હવે કર્મચારીને ચૂકવવા જેટલી ફી દર વરસે ચૂકવવી પડે તો ઘાટ કરતાં ઘડામણ મોંઘું થઈ જાય ને કંપનીઓ લાંબી થઈ જાય તેથી હાહાકાર મચી ગયેલો.
હવે સ્પષ્ટતા કરાઈ છે કે, આ ફી એક જ વાર ચૂકવવાની છે. એચ-વન બી વિઝા ત્રણ વર્ષ માટે અપાય છે અને ફરી ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. ફરી વિઝા લંબાવાય ત્યારે 1 લાખ ડૉલરની ફી ફરી ભરવી પડશે કે નહીં તેની ચોખવટ નથી કરાઈ પણ આપણે 1 લાખ ડૉલરની ફી 6 વર્ષ માટે છે એમ માનીએ તો પણ વરસે 16 હજાર ડૉલર એટલે કે લગભગ 14 લાખ રૂપિયા થયા. આ રકમ પણ ઓછી નથી જ તેથી એચ-વન બી વિઝા લેનારાં પર તોતિંગ બોજ તો આવવાનો જ છે.
ટ્રમ્પના ફતવાના કારણે સૌથી મોટો ફટકો ભારતને પડશે એ સ્પષ્ટ છે કેમ કે સૌથી વધારે એચ વન બી વિઝા ભારતીયોને મળે છે. ગયા વર્ષે અમેરિકાએ મંજૂર કરેલા એચ-વન બી વિઝામાંથી 71 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા. ચીન 11.7 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે હતું.
ભારત અને ચીન વચ્ચે 60 ટકાનો ફરક છે તેથી એચ-વન બી વિઝા ભારતની મોનોપોલી છે એ સ્પષ્ટ છે. તેના કારણે આ વિઝાને લગતા ટ્રમ્પના કોઈ પણ ફતવાની સારી કે નરસી, સૌથી વધારે અસર ભારતને જ થશે અને અત્યારે જે સ્થિતિ છે એ જોતાં તો ભારતીયોને નુકસાન થશે એવું વધારે લાગે છે.
ભારતમાં કહેવાતા નિષ્ણાતોનો એક વર્ગ એવો છે કે, જે ભારતને નુકસાન થાય એવું કોઈ પણ પગલું ભરાય તો પણ એક જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, આ પગલાથી ભારતને નુકસાન નહીં પણ ફાયદો થશે. તેના માટે એ લોકો જે તર્ક રજૂ કરતા હોય છે એ સાંભળીને ગધેડાને પણ તાવ આવી જાય.
ટ્રમ્પના એચ-વન બી વિઝા અંગેના ફતવા પછી પણ આ કહેવાતા નિષ્ણાતો મેદાનમાં આવી ગયા છે અને પાછું એ જ કોરસ શરૂ કરી દીધું છે કે, ટ્રમ્પના ફતવાએ ભારત માટે મોટી તક ઊભી કરી દીધી છે ને ભારતને બહુ ફાયદો થશે.
નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે આ કોરસની આગેવાની લીધી છે. કાંતનો દાવો છે કે, ડોનલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1 લાખ ડૉલરની ફી લાદવાનું નક્કી કર્યું તેના કારણે અમેરિકન ઈનોવેશનનું ગળું ઘોંટાઈ જશે જ્યારે ભારતમાં ટેલેન્ટ આધારિત વિકાસને વેગ મળશે તેથી આ ફતવો ભારત માટે ફાયદાકારક છે.
કાંતના કહેવા પ્રમાણે, આ ફી દ્વારા ટ્રમ્પ વૈશ્વિક પ્રતિભાને પ્રતિબંધિત કરી રહ્યા છે તેથી ટેકનોલોજીની લેબ્સ, પેટન્ટ, ઈનોવેશન અને સ્ટાર્ટઅપ્સ ભારતીય શહેરોમાં રીડાયરેક્ટ થશે. પરિણામે અમેરિકાનું નુકસાન ભારતનો ફાયદો બનશે.
કાંતની વાતોમાં હાજિયો પુરાવવા બીજા નિષ્ણાતો પણ કૂદી પડ્યા છે. આ બધા દેકારો મચાવીને એવી હવા ઊભી કરવા મથામણ કરી રહ્યા છે કે, ટ્રમ્પ ગમે તે કરે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. બલ્કે ખુશ થવું જોઈએ કેમ કે ટ્રમ્પનું દરેક પગલું અમેરિકાને નુકસાન ને ભારતને ફાયદો કરાવશે.
દેશપ્રેમ સારી વાત છે અને આશાવાદી હોવું પણ સારી જ વાત છે પણ આ આશાવાદ વાંઝિયો છે અને તેની પાછળ દેશપ્રેમ કરતાં વધારે સત્તામાં બેઠેલા લોકોની ચાપલૂસી કરવાની ભાવના વધારે છે. ટ્રમ્પના એચ-વન બી વિઝાની ફી વધારવાના નિર્ણયના કારણે ભારતની આઈટી કંપનીઓને તોતિંગ સૌથી મોટો ફટકો પડશે તેમાં મીનમેખ નથી. ભારતીય આઈટી અને ટેક કંપનીઓ દર વર્ષે હજારો કર્મચારીઓને H-1B કોન્ટ્રેક્ટ પર યુએસ મોકલે છે.
હવે ફી વધતાં આ કંપનીઓનો નફો મોટા પ્રમાણમાં ઘટી જશે કેમ કે કંપનીએ અમેરિકાની કંપની પાસેથી લીધેલી ફીમાંથી કર્મચારીદીઠ 1 લાખ ડૉલર તો અમેરિકાની સરકારને પાછા આપી દેવા પડશે તેથી કંપનીઓનો નફો ઘટશે. આઈટી કંપનીઓ ભારતને જંગી વિદેશી હૂંડિયામણ રળી આપે છે. ટ્રમ્પના ફતવાના કારણે તેમાં ઓટ આવશે તેથી કંપનીઓનો નફો તો ઘટશે જ પણ દેશના અર્થતંત્રને પણ નુકસાન થશે.
એચ-વન બી વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે તેથી આ વિઝા મેળવનાર અમેરિકામાં રહીને કામ કરી શકે પણ અમેરિકામાં કાયમી રહી ના શકે, આ કારણે આ વિઝા મેળવનારા પોતાના પરિવારોને ભારતમાં જ રાખતા અને તેમના નિભાવ માટે ડૉલરમાં રકમ મોકલતા. તેના કારણે ભારતને વિદેશી હૂંડિયામણ મળતું ને સાથે સાથે અમેરિકાનો પૈસો ભારતમાં પણ ખેંચાઈ આવતો. ટ્રમ્પના ફતવાના કારણે ઓછા ભારતીયો અમેરિકા જશે તેથી ભારતને રેમિટન્સ અને વિદેશી હૂંડિયામણનો બેવડો ફટકો પડશે.
કાન્ત સહિતના સરકારી ચમચા ભારતમાં હવે ઈનોવેશન આવશે એવી જે વાતો કરે છે એ સાવ હાસ્યાસ્પદ છે. એ લોકો એવું ચિત્ર ઊભું કરવા મથે છે કે, ઈનોવેશનમાં ભારત અમેરિકાનો વિકલ્પ બની શકે છે. વાસ્તવમાં અમેરિકા સહિતના દેશો જે ટેકનોલોજી પર કામ કરે છે તેમાં ભારતના તો ચણાય નથી આવતા તેથી અમેરિકા દરવાજા બંધ કરે એટલે આખી દુનિયાની ટેલેન્ટ ભારતમાં ખેંચાઈ આવશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.
પહેલી વાત એ કે, અમેરિકા પોતાની ટેલેન્ટના જોર ટેક સુપર પાવર છે તેથી તેને ઈનોવેશનમાં કોઈ નુકસાન ના થાય ને બીજી વાત એ કે, ભારત પાસે એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી કે ઈનોવેશન બૂમ થાય. ભારતમાં સાયન્સ-ટેકનોલોજી પાછળ ઝનૂનથી મચી પડવાનો માહોલ નથી ને એવી ટેલેન્ટ પણ નથી. ભારતીયો તો અમેરિકનો કે બીજા વિકસિત દેશોએ વિકસાવેલી ટેકનોલોજી ચલાવનારા મોડિફાઈડ લેબર જ છે તેથી અમેરિકાનું નુકસાન ને ભારતનો ફાયદો એવી ગોળીઓ ના ગળતા.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પનો ડ્રગ્સ રિપોર્ટ, ભારત માટે ખતરાની ઘંટડી