એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ડૉ. માધવી લતાની પરિપક્વતાને સલામ કરવી જોઈએ

  • ભરત ભારદ્વાજ

ભારતમાં લોકો પોતે ના કર્યું હોય તેનો પણ જશ ખાટવા માટે કોઈ પણ હદે જતાં વિચાર કરતાં નથી ત્યારે ડો. માધવી લતાએ બતાવેલા સ્પિરિટ અને પરિપક્વતાને સલામ કરવી જોઈએ. દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલ પુલના નિર્માણનો યશ ડૉ. માધવી લતાને આપીને સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે ડૉ. માધવીએ આ જશ લેવાનો સાફ ઈન્કાર કર્યો છે.

ડૉ. માધવી લતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું છે કે, ચિનાબ પુલના નિર્માણનો શ્રેય મને ન આપવો જોઈએ. આ પુલના આયોજન, ડિઝાઇન અને બાંધકામનું બધું શ્રેય ભારતીય રેલવે અને નિર્માણ કરનારી કંપની એફકોન્સને જાય છે. મારી ભૂમિકા એક જીયોટેકનિકલ પર્સન તરીકેની વ્યક્તિની હતી કે જેનું કામ ઢાળ પર બનાવાયેલા પાયાની ડિઝાઇન પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાનું જ હતું.

ડો. માધવીએ લખ્યું છે કે, આ એક વ્યક્તિનું નહીં પણ હજારો લોકોની સામૂહિક મહેનતનું પરિણામ છે તેથી મને બિનજરૂરી રીતે જશ ના આપો. આ મિશનને એક મહિલાએ અશક્યને શક્ય બનાવ્યું અને પુલ બનાવવા માટે ચમત્કાર કર્યો એવી મીડિયાની વાતો દમ વિનાની છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ માધવી લતાને પુલ પ્રોજેક્ટ માટે 17 વર્ષ સમર્પિત કરવા બદલ અભિનંદન આપ્યા પછી અભિનંદનનો મારો ચાલુ થયો. મીડિયાએ વાતમાં મીઠું મરચું ભભરાવીને આખા પ્રોજેક્ટનો જશ જ માધવી લતાને આપી દીધો. ડો. માધવી લતાની સ્પષ્ટતા મહત્ત્વની છે કેમ કે ભાગ્યે જ કોઈ આ રીતે મફતમાં મળી રહી નામનાને નકારે છે. આ દેશમાં બીજાંએ કરેલાં કામોને પોતાના નામે ચડાવવાની હોડ ચાલે છે ત્યારે લોકોને વાસ્તવિકતાનું ભાન કરાવવાની ભારે હિંમત બતાવી એ માટે તેમને સલામ કરવી જોઈએ.

ડો. માધવી લતાએ શરૂઆત કરી જ છે તો આ પ્રોજેક્ટ વિશે બીજી થોડી વાસ્તવિકતાઓ પણ જાણી લેવી જોઈએ. મોદી સરકારે આ પ્રોજેક્ટને ઝડપથી પાર પાડીને બહુ મોટું કામ કર્યું તેમાં શંકા નથી પણ આ પ્રોજેક્ટ વિદેશી મદદથી બનેલો છે. તેમાં કશું ખોટું નથી કેમ કે ગ્લોબલાઈઝેશનના આ જમાનામાં દુનિયામાં મોટા ભાગના મહાન પ્રોજેક્ટ વૈશ્વિક સહકારથી જ બને છે.

ચિનાબ રેલવે બ્રિજનું નિર્માણ ભારતમાં થયું પણ તેની ડિઝાઈન ભારતે બનાવેલી નથી. આ પુલનું નિર્માણ વિદેશી કંપનીઓની ડિઝાઈનના આધારે કરાયું છે. ભારતમાં પહાડી વિસ્તારોમાં બોગદાંને કાપીને રેલવે બ્રિજ બનાવવામાં કોંકણ રેલ્વે કોર્પોરેશને ભારે સફળતા મેળવી હોવાથી ભારતીય રેલવેએ નોર્ધર્ન રેલવે વતી કોંકણ રેલ્વે કોર્પોરેશનને પુલ નિર્માણ પ્રોજેક્ટનું કામ સોંપેલું. આ પુલ દ્વારા કાશ્મીરને ભારતીય રેલવેની વર્તમાન લાઇનો સાથે જોડવાનો હોવાથી પ્રોજેક્ટ રાષ્ટ્રીય ગૌરવનો હતો. આ કારણે આ પુલને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

કોંકણ રેલવેએ નવેમ્બર 2003માં પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડીને ડિઝાઈન સહિતનાં તમામ કામ માટે ભાવ મગાવ્યા હતા. પુલનું નિર્માણ થયું છે એ વિસ્તાર ભૂકંપનો મોટો ખતરો ધરાવે છે. ભૂસ્તરશાસ્ત્રના મુખ્ય ભૂકંપ ઝોન એટલે કે ઝોન ફાઈવમાં આ વિસ્તાર આવેલો છે તેથી જમીનનું બંધારણ બટકણું છે. આ ઉપરાંત આતંકવાદના કારણે સતત હિંસાગ્રસ્ત ઝોનમાં પણ આ વિસ્તાર આવે છે તેથી ભૂકંપ સહિતની કુદરતી આપદાઓ અને માનવસર્જિત આપદાઓ બંને સામે ઝીંક ઝીલી શકે એવો પુલ બનાવવો જરૂરી હતો. ભારતમાં આ કામ કરી શકે એવી એજન્સીઓ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ નથી તેથી નિર્માણનો કોન્ટ્રાક્ટ વિદેશી કંપનીઓને સોંપાયો.

આ કોન્ટ્રાક્ટ હેઠળ ડબલ્યુએસપી ફિનલેન્ડ કંપનીએ પુલની મુખ્ય ડિઝાઇન બનાવી છે. આ કંપની હવે ડબલ્યુએસપી ગ્લોબલ તરીકે ઓળખાય છે અને કેનેડામાં તેનું હેડક્વાર્ટર છે. જર્મન કંપની લિયોનહાર્ટ, આન્દ્રે અંડ પાર્ટનરે પુલના આર્ક એટલે કે કમાનોની ડિઝાઇન બનાવી છે જ્યારે વિયેના ક્નસલ્ટિંગ એન્જિનિયર્સ કંપનીએ પાયલોન એટલે કે પુલ જેના પર ઊભો છે એ ટાવર્સની ડિઝાઇન બનાવી છે. આ પુલ એવો બનાવાયો છે કે, આતંકવાદીઓ કે બીજાં ભાંગફોડિયાં તત્ત્વો બ્લાસ્ટ કરીને પુલને ઉડાવવાની કોશિશ કરે તો પણ ફાવે નહીં. ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ પુલને બ્લાસ્ટ પ્રૂફ બનાવવામાં મદદ કરી છે ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે બ્રિજના પાયાનું રક્ષણ કરવા માટે શું કરવું તેની કામગીરીમાં મદદ કરી છે.

આ બ્રિજના બાંધકામનો કોન્ટ્રાક્ટ ચેનાબ બ્રિજ પ્રોજેક્ટ અંડરટેકિગને આપવામાં આવ્યો હતો. ચેનાબ બ્રિજ અંડરટેકિગ એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીએસએલ ઇન્ડિયા અને અલ્ટ્રા ક્નસ્ટ્રક્શનનું બનેલું સંયુક્ત સાહસ છે. એફકોન્સ પાલનજી શાપૂરજી મિસ્ત્રીની મૂળ ભારતીય પણ મલ્ટિનેશનલ કંપની છે. વીએસએલ ઈન્ડિયા કૈલાશ બાસિતાની ભારતીય કંપની છે જ્યારે અલ્ટ્રા ક્નસ્ટ્રક્શન દક્ષિણ કોરીયાની કંપની છે. ટૂંકમાં ચિનાબ બ્રિજ પ્રોજેક્ટ સંપૂર્ણપણે ભારતીય છે જ નહીં. ડીઝાઈનથી શરૂ કરીને નિર્માણ સુધીની બધી બાબતોમાં વિદેશી કંપનીઓ સંકલાયેલી છે તેથી તેના પર ભારતીય પ્રોજેક્ટનો ઠપ્પો લગાવી શકાય તેમ નથી ને કોઈ ભારતીયને તેનો જશ આપી શકાય તેમ નથી. ડૉ. માધવી લતા સહિતનાં આ પ્રોજેક્ટમાં સંકાયેલા એન્જિનિયરોએ તો વિદેશી કંપનીઓએ બનાવી આપેલી બ્લુ-પ્રિન્ટ અને ડિઝાઈન પ્રમાણે કામ કર્યું છે. કોઈ પણ પ્રોજેક્ટને ડિઝાઈન પ્રમાણે પરફેક્શન સાથે સાકાર કરવો મહત્ત્વનો છે તેથી ડો. માધવી લતાના યોગદાનને નકારી ના શકાય પણ તેમને જ જશ ના આપી શકાય. તેમની જ મહેનત અને વિઝનના કારણે પ્રોજેક્ટ બન્યો એવો દાવો પણ ના કરી શકાય.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ છે ત્યાં સુધી ભારતીયોએ અપમાનિત થવું પડશે…

જે લોકોએ આ દાવા કર્યા તેમના ઈરાદા શું હશે એ આપણને ખબર નથી પણ ડો. માધવી લતામાં એટલી ખેલદિલી છે કે તેમણે આ દાવાને નકારી કાઢ્યો. આપણે ત્યાં મીડિયામાં હઈસો હઈસો ચાલે પછી ભળતા જ લોકો હીરો બની જતા હોય છે. આપણા પરમાણુ કાર્યક્રમના કિસ્સામાં એવું થયું જ છે. મીડિયા હઈસો હઈસો કરીને ડો. એપીજે અબ્દુલ કલામને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતામહ ગણાવ્યા કરે છે પણ ડો. કલામ ભારતના પરમાણુ કાર્યક્રમમાં બહુ પછી આવેલા.

ભારતને પરમાણુ મહાસત્તા બનાવવાનો યશ ડૉ. હોમી ભાભા અને ડો. વિક્રમ સારાભાઈ જેવા પરમાણુ સંશોધનમાં પાયાનું કામ કરનારા મહાન વિજ્ઞાનીઓથી શરૂ કરીને ડૉ. રાજા રામન્ના સહિતના લોકોને જાય છે પણ મીડિયાની અજ્ઞાનતાના કારણે એ બધા અનસંગ હીરો રહી ગયા ને ડૉ. કલામ હજુય પૂજાયા કરે છે. ચિનાબ રેલવે બ્રિજના કિસ્સામાં પણ મીડિયાએ એવો જ ઘાટ કરીને ડો. માધવી લતાને બધો જશ આપી દીધો પણ ડો. માધવી વધારે સંતુલિત સાબિત થયાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button