એકસ્ટ્રા અફેર

એરફોર્સ ચીફે જાહેરમાં ફરિયાદ કરવી પડે એ શરમજનક કહેવાય…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો ખુરદો બોલાવવા હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના નશામાં આખો દેશ ઝૂમી રહ્યો છે ત્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે એક ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે. એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે એરફોર્સ માટેની ડિફેન્સ સિસ્ટમની ખરીદી અને ડિલિવરીમાં સતત થઈ રહેલા વિલંબ અંગે બળાપો કાઢતાં કહ્યું છે કે દેશનાં સંરક્ષણ દળો માટેની ડિફેન્સ સિસ્ટમ્સનો એક પણ પ્રોજેક્ટ એવો નથી જે સમયસર પૂરો થયો હોય. તેના કારણે એરફોર્સ સહિતનાં સંરક્ષણ દળોની કામગીરીને અસર થઈ રહી છે. આપણી સેના મજબૂત હોય તો યુદ્ધો જિતાય છે. આપણી સેનાની તમામ પાંખને મજબૂત બનાવવાની જવાબદારી આપણાં બધાંની છે પણ ડિલિવરીમાં વિલંબના કારણે ઓપરેશનલ તૈયારીઓ પર ગંભીર અસર પડે છે.

એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે તો એક ગંભીર સવાલ પણ કર્યો કે, આપણે એવાં વચનો કેમ આપીએ છીએ કે જે પૂરાં જ ન થઈ શકે ? એરફોર્સ ચીફના કહેવા પ્રમાણે તો ઘણી વખત કરાર પર સહી કરતી વખતે જ ખબર હોય છે કે પ્રોજેક્ટ સમયસર પૂરો થશે નહીં અને સમયસર ડીલિવરી મળશે નહીં છતાં કરાર પર સહી કરી નાખીએ છીએ. તેના કારણે આખી સિસ્ટમ બગડી જાય છે. એરફોર્સ ચીફે દેશના ઉદ્યોગ અને વ્યાપાર જગતના ધૂરંધરોની બનેલી ક્નફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ સીઆઇઆઇની વાર્ષિક વ્યાપાર સમિટમાં આ સવાલ ઉઠાવ્યા તેથી આખા દેશનું તેના તરફ ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક છે.

એરફોર્સ ચીફે ઉઠાવેલો મુદ્દો ગંભીર છે ને વધારે ગંભીર વાત એ છે કે, એરફોર્સ ચીફે પહેલીવાર સિસ્ટમ સામે સવાલ કર્યા નથી. આ પહેલાં 8 જાન્યુઆરીએ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે તેજસ ફાઇટર એરક્રાફ્ટની ડિલિવરીમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. એ વખતે એરફોર્સ ચીફે કહ્યું હતું કે તેજસ એમકે1એ ફાઇટર જેટ માટે ફેબ્રુઆરી 2021માં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએએલ સાથે રૂપિયા 48,000 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો. તેજસની ડિલિવરી માર્ચ 2024થી શરૂ થવાની હતી પણ હજુ સુધી એક પણ વિમાન આવ્યું નથી. આઘાતની વાત એ છે કે, તેજસ એમકે2નો પ્રોટોટાઇપ હજુ તૈયાર નથી. આપણે એડવાન્સ્ડ સ્ટીલ્થ ફાઇટર એએમસીએની વાત કરીએ છીએ પણ હજુ સુધી તેનો પ્રોટોટાઇપ પણ તૈયાર નથી.

એરફોર્સ ચીફે કહેલું કે, 40 જેટ ફાઈટર હજુ સુધી એરફોર્સને મળ્યાં નથી અને ચીન જેવા દેશો પોતાની તાકાત વધારી રહ્યા છે ત્યારે આપણે રાહ જોઈને બેઠા છીએ. ચીને થોડા દિવસ પહેલાં જ સિક્સ્થ સ્ટીલ્થ જનરેશન લડાયક વિમાનનું પરીક્ષણ કરીને આખી દુનિયામાં સોપો પાડી દીધો હતો. દુનિયામાં અમેરિકા સહિતના દેશો હજુ ફિફ્થ જનરેશન ફાઈટર જેટ વાપરે છે ત્યારે ચીને દુનિયામાં સિક્સ્થ જનરેશન ફાઈટર જેટ બનાવનારો પહેલો દેશ બનવાની સિદ્ધિ મેળવીને સૌને ચકિત કરી દીધા હતા.

એરફોર્સ ચીફે એ સંદર્ભમાં આ નિવેદન આપેલું અને હવે પાંચ મહિના પછી તેમણે આ વાત ફરી દોહરાવવી પડી છે કેમ કે તેમની ટકોર છતાં સ્થિતીમાં કોઈ ફરક પડ્યો નથી. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએએલ સરકારી કંપની છે અને સરકારી રાહે કામ કર્યા કરતી લાગે છે તેથી એરફોર્સ ચીફની ટકોર પછી પણ હજુ સુધી તેજસની ડિલિવરી શરૂ થઈ નથી.

એરફોર્સ ચીફની ટીપ્પણીને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે કેમ કે પહલગામ હુમલાને પગલે કરાયેલા ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે તણાવપૂર્ણ બન્યા છે. ભારતના આક્રમણથી બઘવાઈને પાકિસ્તાન ભલે અત્યારે ચૂપ બેસી ગયું હોય પણ એ લાંબો સમય ચૂપ નહીં રહે ને કોઈ ને કોઈ સળી કરશે જ. પાકિસ્તાનમાં નેતાઓ અને લશ્કરી અધિકારીઓની દુકાન જ ભારતીયોનાં લોહી રેડવાની કાયરતા પર ચાલે છે તેથી પાકિસ્તાન ચૂપ નહીં જ બેસે. બાંગ્લાદેશ અને ચીન પણ ભારતનાં દોસ્ત નથી એ જોતાં આપણા લશ્કરને વધારે સજ્જ કરવાની જરૂર છે જ. લશ્કરની જરૂરિયાતો પૂરી કરવી જરૂરી છે. એરફોર્સ ચીફે જાહેરમાં બે-બે વાર યોગ્ય સમયે ફાઈટર જેટની કે ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી નથી મળતી એવી ફરિયાદ કરવી પડે એ શરમજનક કહેવાય. આ શરમ દૂર થવી જોઈએ અને કમ સે કમ કરારો થયા છે એ પ્રમાણે તો ડિલિવરી થવી જ જોઈએ.

આપણે ત્યાં હકારાત્મક ટીકાને પણ હકારાત્મક રીતે નહીં લેવાની ફેશન છે. કોઈ પણ ટીકા સામે ટ્રોલ આર્મી કૂદી પડે છે અને ટીકા કરનારના ઈરાદાને સમજ્યા વિના તેના પર દેશદ્રોહીનાં લેબલ લગાવવાની ઝુંબેશ શરૂ થઈ જાય છે. થોડા સમય પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવા આવેલા વિદેશ સચિવ વિક્રમ મિસરીનો દાખલો તાજો છે. વિક્રમ મિસરી તો બિચારા સરકારે લીધેલા નિર્ણયની જાહેરાત કરવા આવેલા પણ જાણે તેમણે આ જ નિર્ણય લીધો હોય તેમ ટ્રોલ આર્મી તેમના પર તૂટી પડેલી. મિસરીની દીકરી અને પરિવાર વિશે ગંદી વાતો કરાઈ, ધમકીઓ પણ અપાઈ.

સદનસીબે એરફોર્સ ચીફની ટીકાના સંદર્ભમાં એવું કશું થયું નથી પણ એ પૂરતું નથી. એરફોર્સ ચીફે દેશની સુરક્ષા સામેના ગંભીર પડકારને લોકો સામે મૂક્યો છે ત્યારે લોકો તેને સમર્થન આપે એ જરૂરી છે. લશ્કરી શિસ્તના કારણે સામાન્ય રીતે લશ્કરી વડાઓ પોતાની તકલીફો કે સમસ્યાઓની વાત જાહેરમાં કરતા નથી. એરફોર્સ ચીફે ડિફેન્સ વેપન્સની ડિલિવરી ઝડપથી મળતી નથી તેની વાત લોકો સામે મૂકી તેનો અર્થ એ થયો કે, એ ગળે આવી ગયા છે. તેમની લાગણી સમજી શકાય એવી છે કેમ કે આધુનિક ટેકનોલોજીના જમાનામાં હથિયારો વિના દુશ્મન સામે લડી ના શકાય. અત્યારે ખાલી બહાદુરી ના ચાલે પણ બહાદુરી બતાવવા માટે હથિયારો પણ જોઈએ.

આપણા એરફોર્સે ઓપરેશન સિંદૂર વખતે બતાવેલી બહાદુરીને આખા દેશે વખાણી અને જવાનોની મર્દાનગીને સલામ કરી. એરફોર્સ ચીફની વાતનો એક અર્થ એ પણ છે કે, પૂરતાં વિમાનો સહિતનાં સાધનો નહીં હોવા છતાં એરફોર્સે જોરદાર કામગીરી કરી બતાવી છે. ભવિષ્યમાં એરફોર્સ આ રીતે જ દેશની સુરક્ષા કરે એ માટે તેને સજ્જ કરવું જરૂરી છે ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર તેમની વાતને ટેકો આપીને દબાણ પેદા કરવું જોઈએ. સરકાર સંરક્ષણ માટે પૂરતું બજેટ ફાળવે છે અને કરારો પણ કરે છે પણ તેનો ઝડપથી અમલ થાય એ પણ જરૂરી છે.

આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : ભારત પાકિસ્તાનના ભુક્કા બોલાવી દેવા સક્ષમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button