શું ‘મહાભારત’ હશે આમિર ખાનની છેલ્લી ફિલ્મ? અભિનેતાએ આપ્યો મોટો સંકેત!

નવી દિલ્હી: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ પર પણ કામ કરી રહ્યા છે. આ બધા વચ્ચે, આમિર ખાને એક મોટો સંકેત આપ્યો છે કે આ ભવ્ય ફિલ્મ કદાચ તેમની છેલ્લી ફિલ્મ બની શકે છે.
રાજ શમાનીને આપેલા એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યું કે તેઓ પોતાની છેલ્લી ફિલ્મ કેવી ઈચ્છે છે. ‘મહાભારત’ વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ હંમેશાથી આ ફિલ્મ બનાવવા માંગતા હતા. આમિર ખાને સંકેત આપતા કહ્યું કે ‘મહાભારત’ તેમની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે તે (મહાભારત) એક કામ છે, તે એક પ્રોજેક્ટ છે. તે કર્યા પછી કદાચ મારા મનમાં એ લાગણી આવે કે ભાઈ, હવે આ પછી હું કદાચ કંઈ કરી શકીશ નહીં. કારણ કે તે મટિરિયલ જ એવું છે, કમાલનું છે. તે લેયર્ડ છે, તેમાં લાગણી છે, સ્કેલ છે, ભવ્યતા છે, દરેક વસ્તુ છે. દુનિયામાં જે કંઈ છે તે તમને મહાભારતમાં મળશે.”
‘આ પછી મને કંઈ નથી કરવું’
આમિર ખાને કહ્યું કે, “જ્યારે તમે મને પૂછો છો કે તમારું છેલ્લું શું હોઈ શકે છે? હું તો એમ જ ઈચ્છું છું કે કામ કરતા-કરતા મરું. જેમ કે એ.કે. હંગલ જી કહેતા હતા કે હું કામ કરતા-કરતા મરવા માંગુ છું. તો તે આપણે બધા જ ઈચ્છીએ છીએ. કારણ કે તમે પૂછી રહ્યા છો, તો હું એક જ વસ્તુ વિચારી શકું છું કે જો આ કર્યા પછી કદાચ મારા મનમાં એ લાગણી આવે કે બસ હવે આ પછી મને કંઈ નથી કરવું. કદાચ, ખબર નહીં.”
શું પોતે બનશે દિગ્દર્શક?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ મોટી ફિલ્મનું દિગ્દર્શન કરશે, તો આમિરે કહ્યું કે ‘મહાભારત’ એક એવી વાર્તા છે જેને એક જ વારમાં કહી શકાતી નથી. જોકે, તેઓ દિગ્દર્શક હશે કે નહીં તે કહેવું વહેલું ગણાશે, તેમણે જણાવ્યું કે વાર્તા ઘણી ફિલ્મોમાં બનાવવામાં આવશે. તેથી, તેને એક નિશ્ચિત સમયની અંદર પૂર્ણ કરવા માટે, તેમને એક કરતા વધુ દિગ્દર્શકોની જરૂર પડશે.