શું દિલજીત દોસાંઝની સરદાર જી 3 ભારતમાં રિલીઝ નહીં થાય? જાણો વિવાદ

મુંબઈ: દિલજીત દોસાંઝની આગામી ફિલ્મી સરદાર જી 3 રીલીઝ થતા પહેલા જ વિવાદોના વંટોળમાં ફસાઈ છે. ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોની હાજરી અને લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી પ્રમાણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ દિલજીત દોસાંઝની આગામી ફિલ્મ ‘સરદાર જી 3’ ને સેન્સર પ્રમાણપત્ર ન આપવા કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC) ને પત્ર લખ્યો છે. આ ફિલ્મમાં કથિત રીતે પાકિસ્તાની કલાકારોની હાજરીને કારણે વિવાદ ઊભો થયો છે. આ ઘટનાએ ભારત-પાકિસ્તાન તણાવના સમયે રાષ્ટ્રીય લાગણીઓને ઉશ્કેરી છે. આવી સ્થિતિમાં ફિલ્મની રિલીઝ પર સવાલો ઉભા થયા છે.
પાકિસ્તાની કલાકારોના કારણે પ્રતિબંધની માંગ
FWICE એ CBFC ના અધ્યક્ષ પ્રસૂન જોશીને લખેલા પત્રમાં જણાવ્યું કે ફિલ્મમાં પાકિસ્તાની કલાકારો હનિયા આમિર, નાસિર ચિન્યોતી, ડેનિયલ ખાવર અને સલીમ અલબેલા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના તાજેતરના નિર્દેશો અનુસાર, પાકિસ્તાની કલાકારો કે સામગ્રી સાથેના સહયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. FWICE એ CBFC ને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી પ્રમાણપત્ર રોકવા વિનંતી કરી હતી. આ અગાઉ ભાજપ ચિત્રપટ કામગાર અઘાડીએ પણ ફિલ્મનો વિરોધ કર્યો અને તેને ભારતમાં રિલીઝ ન કરવા માંગ કરી. તેમણે આ મુદ્દાને રાષ્ટ્રીય ગૌરવનો મુદ્દો ગણાવ્યો છે.
જણાવી દઈએ કે, આ વિવાદનું કારણ 22 એપ્રિલના થયેલ પહલગામ આતંરી હુમલો છે. જે બાદ ભારત પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ સમય દરમિયાન ભારત સરકારે OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓ અને પાકિસ્તાની સામગ્રી પર પ્રતિબંધ લગાવ્યો. પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક કરાયા. જ્યારે હવે દિલજીત દોસાંઝની ફિલ્મ સરદાર જી 3માં કથિત પાકિસ્તાની કલાકરો હોવાની વાતથી ફિલ્મ વિવાદોમાં ઘેરાય છે.