તમે પણ પાણીમાં હળદર નાખીને વાઈરલ ટ્રેન્ડને ફોલો કરવાનું વિચારો છો? સાવધાન, મુસીબત નોંતરશો…

હાલમાં સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં લોકો રૂમમાં અંધારુ કરીને મોબાઈલની ફ્લેશ લાઈટમાં પાણીના ગ્લાસમાં હળદર નાખીને રીલ્સ અને વીડિયો બનાવી રહ્યા છે. આ ટ્રેન્ડ ભલે લોકો મજા માટે કે વ્યૂઝ માટે ફોલો કરી રહ્યા હોય પણ એક જ્યોતિષાચાર્યએ આને મુસીબતને આમંત્રણ આપવાનું કામ ગણાવી રહ્યા છે. આવો જોઈએ આખરે જ્યોતિષીઓ કેમ આવું કહી રહ્યા છે અને આ પાછળનું કારણ શું છે-
મળતી માહિતી મુજબ કેટલાક જ્યોતિષીઓ એવો દાવો કરી રહ્યા છે કે આ રીતે અંધારામાં પાણીમાં હળદર મિક્સ કરવી એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પણ એક તાંત્રિક વિધીનો ભાગ છે. સોશિયલ મીડિયા પર જ્યોતિષીઓના ચેતવણી આપતા અને આ ટ્રેન્ડને ફોલો ન કરવાની સલાહ આપતા વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે.
નિષ્ણાતોનું એવું માનવું છે કે પાણીમાં હળદર મિક્સ કરવી એ ઘરમાં નેગેટિવ એનર્જી લાવે છે અને એટલું જ નહીં આવું કરવાથી નેગેટિવ એનર્જી પણ તમારા પર હાવી થઈ શકે છે. જ્યોતિષીઓએ પોતાના વીડિયોમાં એવું પણ કહી રહ્યા છે કે આ પ્રકારની ગતિવિધિઓ તમારી કુંડળીમાં ચંદ્રમા અને ગુરુને નબળો બનાવે છે, જેનાથી તમારા ભાગ્ય પર અસર જોવા મળી શકે છે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ આની વિપરીત અસર જોવા મળી શકે છે.
એક જ્યોતિષીએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ એક સંપૂર્ણપણે નુકસાનકારક પ્રક્રિયા છે અને એને કારણે તમારા ઘરમાં મુસીબત આવી શકે છે એટલે આવી પ્રક્રિયાથી બચવું જોઈએ. આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકો આ પોસ્ટ પર કમેન્ટ અને લાઈક્સ કરી ચૂક્યા છે.
એક યુઝરે આ વીડિયો કમેન્ટ કરતાં લખ્યું હતું કે મેં તો આ વાઈરલ ટ્રેન્ડના ચક્કરમાં વીડિયો બનાવી લીધો, હવે શું કરું? બીજા એક યુઝરે લખ્યું હતું કે ઘણા જ્યોતિષીઓ તો પાણીમાં હળદર નાખીને સ્નાન કરવા જણાવે છે. પ્લીઝ રિપ્લાય કરો. ત્રીજા એક યુઝરે તો વળી એવું પણ કહ્યું કે પાણીમાં હળદર નાખીને સ્નાન કરવાથી શું થશે?
(નોંધઃ આવા સમાચાર કે દાવાને મુંબઈ સમાચાર કોઈ પણ રીતે સમર્થન આપતું નથી. આ લેખ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી એક રાય પર આધારિત છે અને એનો કોઈ પણ વૈજ્ઞાનિક કે તથ્યાત્મક આધાર નથી.)