હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ દીપિકા આવી ઘરેઃ શોએબે કહ્યું જંગ અભી જારી હૈ…

મુંબઈ: એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે કેન્સરનો શિકાર બનીને તેમાંથી છૂટકારો પણ મેળવી ચૂક્યા છે. ‘સસુરાલ સિમર કા’ ટીવી સીરિયલની અભિનેત્રી દીપિકા કક્કડ પણ સ્ટેજ 2 લિવર કેન્સરનો શિકાર બની છે. જેને લઈને તેણે સારવાર પણ શરૂ કરાવી દીધી હતી. નિષ્ણાત તબીબોએ સર્જરી કરીને ગાંઠ કાઢી હતી. સર્જરીના 11 દિવસ બાદ દીપિકાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે દીપિકાના પતિ શોએબ ઇબ્રાહિમે વ્લોગના માધ્યમથી પત્નીની હેલ્થ અપડેટ શેર કરી છે.
આ 11 દિવસ ઘણા મુશ્કેલ હતા: શોએબ ઇબ્રાહિમ
સોશિયલ મીડિયા પર શેર કરેલા વ્લોગમાં શોએબ ઇબ્રાહિમે જણાવ્યું કે, “દીપિકાના સ્ટેજ 2 કેન્સરની સર્જરી 14 કલાક સુધી ચાલી હતી. તેની તબિયત હાલ સ્થિર છે અને રિકવરી આવી રહી છે. મારા માટે આ 11 દિવસ ઘણા મુશ્કેલ હતા.” શોએબ ઇબ્રાહિમે આગળ જણાવ્યું કે, “દીપિકા જ્યારે હૉસ્પિટલમાં હતી, ત્યારે હું ત્યાંના સોફા પર સૂતો હતો. પરિવારજનો અને ચાહકોની દુઆ અને હિંમત મળતી રહી. જ્યારે દીપિકા ઘરે પાછી ફરી આ ક્ષણ મારા દીકરા રૂહાન અને સમગ્ર પરિવાર માટે લાગણીસભર હતી.”
શોએબ ઇબ્રાહિમે જણાવ્યું કે, “હજુ લડત પૂરી નથી થઈ, એક અઠવાડિયા પછી દીપિકાને ફોલો-અપ ચેકઅપ માટે ફરીથી હૉસ્પિટલ લઈ જવી પડશે. આ તો એક પડાવ છે, હજુ બીજું ઘણું બાકી છે.”
મને આશા છે કે હું સ્વસ્થ થઈ જઈશ: દીપિકા કક્કડ
શોએબ ઇબ્રાહિમે વ્લોગ થોડો મોડા અપલોડ કર્યો હતો. તેણે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. દીપિકા કક્કડે પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “11 દિવસ અહીં અને હવે ઘરે જાવ છું. ટ્યૂમરથી મુક્તિ…પરંતુ આ સારવારનો જ એક ભાગ છે. બાકીનો ઇલાજ આગામી સમયમાં થશે. મને આશા છે કે હું આનાથી પણ વધારે સ્વસ્થ થઈ જઈશ.”
આપણ વાંચો : દીપિકા કક્કડની હેલ્થ અપડેટ આપી શોએબેઃ ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ