યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજય’નું ટીઝર રિલીઝ: જાણો કોણ બન્યું છે મુખ્યમંત્રી?

ઉત્તર પ્રદેશના ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે જન્મદિવસ છે. 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં જન્મેલા યોગી આદિત્યનાથ આજે 53 વર્ષના થયા છે. આ ખાસ પ્રસંગે, તેમના જીવન પર બની રહેલી ફિલ્મ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવનાર અભિનેતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
યોગી આદિત્યનાથના જન્મદિવસે, નિર્માતાઓએ તેમને એક મોટી ભેટ આપી છે. ટીઝરમાં બધું છોડીને ત્યાગના માર્ગ પર ચાલવાની તેમની સફર બતાવવામાં આવી છે. ટીઝરમાં લાગણી અને બલિદાનનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. આ ફિલ્મમાં બાળપણથી અત્યાર સુધીની તેમની સફર રજૂ કરવામાં આવશે. આ યોગીની હિંમત અને બહાદુરીની વાર્તા છે, જેમણે નાની ઉંમરે ધર્મ અને સંન્યાસ માટે પોતાના પરિવારનો ત્યાગ કર્યો હતો. આ પછી, તેઓ રાજકારણમાં કેવી રીતે આવ્યા તેની પણ ઝલક ફિલ્મમાં બતાવવામાં આવશે.
આ પણ વાંચો: યોગી આદિત્યનાથે પાકિસ્તાન માટે કરી નાખી મોટી વાત, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થાય નહીં
અભિનેતા અનંત વિજય જોશી મોટા પડદા પર યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવતા જોવા મળશે. તેઓ યોગીના, લોકોની સેવા કરવાના ઉદ્દેશ્યને મોટા પડદા પર સાકાર કરશે. સીએમ યોગીની જેમ, ભગવા વસ્ત્ર, કપાળ પર તિલક, કાનમાં બુટ્ટી અને ભગવા કલરની ખેસ પહેરેલા વિજયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
‘અજય’ ફિલ્મમાં અનંત ઉપરાંત પરેશ રાવલ, નિરહુઆ, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા સિંહ અને સરવર આહુજા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં, પરેશ રાવલ યોગી માટે કહી રહ્યા છે, “તે કંઈ ઈચ્છતો નહોતો, બધા તેને ઇચ્છતા હતા, તે શિષ્ય બનવા આવ્યો હતો, પરંતુ જનતાએ તેને સરકાર બનાવી દીધો.” આ ફિલ્મ 1 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: ઈમામના સંમેલનમાં મમતા બેનર્જી યોગી આદિત્યનાથ પર વરસ્યા, યુપીની સ્થિતિ પર કર્યાં સવાલ
આ ફિલ્મ સમ્રાટ સિનેમેટિક દ્વારા બનાવવામાં આવી રહી છે. તેના દિગ્દર્શક રવિન્દ્ર ગૌતમ છે, જેમણે મહારાની 2 બનાવી હતી, જ્યારે નિર્માતા રીતુ મેંગી છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતી વખતે નિર્માતાઓએ લખ્યું હતું કે તેમણે દુનિયા છોડી દીધી, ભગવો પહેર્યો અને સેવામાં ડૂબી ગયા. એક યોગી જે એકલા એક આખી ચળવળ બની ગયા. યોગીની જન્મજયંતિ પર અમે અમારી વાર્તાની શરૂઆત કરી રહ્યા છીએ.