Sonakshi Sinhaના બચાવમાં આવ્યા Shatrughan Sinha, કહ્યું મારા ત્રણેય સંતાનો…

બોલીવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) પોતાના બેબાક અંદાજ માટે ખૂબ જ જાણીતી છે અને તેણે હાલમાં જ ટીવી એક્ટર મુકેશ ખન્ના (Mukesh Khanna)એ તેની પરવરિશ પર ઉઠાવેલા સવાલનો જડબાતોડ જવાબ સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરીને આપ્યો હતો. પરંતુ હવે શોટગન એટલે કે સોનાક્ષીના પિતા ખુદ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) દીકરીના બચાવમાં મેદાનમાં ઉતર્યા છે. તેમણે મુકેશ ખન્નાનું નામ લીધા વિના જ તેમના પર નિશાનો સાધતા સવાલ કર્યો હતો કે તેમને હિંદુ ધર્મના ગાર્ડિયન કોણે બનાવ્યા? મને મારા ત્રણેય સંતાનો પર ખૂબ જ ગર્વ છે એવું પણ જણાવ્યું હતું.
એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાએ મુકેશ ખન્નાનું નામ લીધા વિના જ જણાવ્યું હતું કે મને લાગે છે કોઈને ખૂબ જ તકલીફ છે કે સોનાક્ષીને રામાયણ વિશે પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ નથી ખબર એ માટે, પહેલી વાત તો એ છે કે શું રામાયણ સંબંધિત વાતો કે સવાલોમાં એક્સપર્ટ હોવું એ કોઈ પણ માણસની યોગ્યતા નક્કી કરે છે? બીજી વાત એટલે કે તેમને હિંદુ ધર્મના ગાર્ડિયન કોણે બનાવ્યા?
શત્રુઘ્નએ પોતાના ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે મને મારા ત્રણેય બાળકો પર ખૂબ જ ગર્વ છે. સોનાક્ષી પોતાની જાતે પોતાના દમ પર સ્ટાર બની છે, મારે એને લોન્ચ નથી કરવી પડી. તે મારી દીકરી છે અને દરેક પિતાની જેમ જ મને એના પર ગર્વ છે. કેબીસીમાં રામાયણ વિશે પૂછવામાં આવેલા સવાલનો જવાબ નહીં આવડતો હોવાનો અર્થ એ નથી કે તે એક સારી હિંદુ નથી. તેને કોઈના અપ્રુવલ કે સર્ટિફિકેટની જરૂર નથી.
આ પણ વાંચો : Sonakshi Sinha આપશે Good News?
અહીંયા તમારી જાણ માટે કે શત્રુઘ્નનું અંગત જીવનમાં રાયામણ સાથે ખૂબ જ ગાઢ કનેક્શન છે. તેમણે પોતાના બંને દીકરાના નામ લવ-કુશ રાખ્યા છે અને આ સિવાય પોતાના ઘરનું નામ રામાયણ રાખ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેબીસીમાં જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે રામાયણમાં હનુમાન કોના માટે સંજીવની જડીબુટ્ટી લઈને આવ્યા હતા, જેનો જવાબ તે આપી શકી નહોતી. આ માટે સોનાક્ષીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. આ જ સંદર્ભે મુકેશ ખન્નાએ સોનાક્ષી પર નિશાનો સાધતા કહ્યું હતું કે આ તેની નહીં પણ તેના પિતાની ભૂલ છે. તેમણે પોતાના સંતાનોને શું શિખવાડ્યું છે?
આ જ સંદર્ભે ગઈકાલે સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર લાંબી લચક પોસ્ટ કરીને મુકેશ ખન્નાની ક્લાસ લગાવી દીધી હતી અને હવે શત્રુઘ્ન સિન્હા દીકરીના બચાવમાં આવીને મુકેશ ખન્નાનું નામ લીધા વિના જ તેમને ખરી ખોટી સંભળાવી હતી.