મનોરંજન

‘સરદારજી 3’ ફિલ્મનો વિવાદ: દિલજીત દોસાંઝના સમર્થનમાં આવેલા ભાજપના નેતા શું બોલ્યા?

પાકિસ્તાની અભિનેત્રીને કારણે ફિલ્મના બોયકોટની થઈ માંગ

નવી દિલ્હી: ગત શુક્રવારે ‘સરદારજી 3’ ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ ચૂકી છે. જોકે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હાનિયા આમિર પાકિસ્તાની હોવાને કારણે ફિલ્મની સાથોસાથ તેના અભિનેતા દિલજીત દોસાંઝનો બોટકોટ કરવાની માંગ ઊભી થઈ હતી. જોકે હવે દિલજીત દોસાંઝના પક્ષમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ નિવેદન આપ્યું છે અને દિલજીત દોસાંઝના બોયકોટને અયોગ્ય ગણાવ્યો છે.

દિલજીત દોસાંઝની નાગરિકતા રદ્દ કરો: FWICE

જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ અને પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમિરની ફિલ્મ ‘સરદારજી 3’ને બોયકોટ કરવાની ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) માંગ કરી છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હોવાનો વાંધો ઉઠાવતા FWICE દ્વારા ભારત સરકારને પત્ર લખીને ફિલ્મ તથા તેના નિર્માતાઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી તથા દિલજીત દોસાંઝની ભારતીય નાગરિકતા રદ્દ કરવાની માંગ કરી હતી. જેથી ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મ ભારતમાં રીલિઝ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય અંગે દિલજીત દોસાઝે જણાવ્યું હતું કે, “અમે આ ફિલ્મનું ફેબ્રુઆરી મહિનામાં શુટિંગ કર્યું હતું. ત્યારે બધુ બરાબર હતું. ત્યારબાદ એવી ઘણી મોટી બાબતો બની, ડે અમારા હાથમાં નથી. હવે નિર્માતાઓએ ફિલ્મને ભારતમાં રીલિજ ન કરવાનો નિર્ણય લીધો છે.”

દિલજીત દોસાઝના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા FWICEના મુખ્ય સલાહકાર અશોક પંડિતે જણાવ્યું હતું કે, “તેઓ ઉરી, પુલવામા, મુંબઈ હુમલા કે પાકિસ્તાને આપણા દેશ પર કરેલા બીજા ઘણા હુમલાઓ કેવી રીતે ભૂલી ગયા? જ્યારે FWICE અને અન્ય ફિલ્મ સંસ્થાઓએ પાકિસ્તાની કલાકારો સામે અસહકાર જાહેર કર્યો હતો. તેમ છતાં તમે તમે પાકિસ્તાની કલાકારોને પસંદ કરી રહ્યા છો. જ્યારે એક આખો દેશ તે રાષ્ટ્રની વિરુદ્ધ હોય છે, ત્યારે તમે એક પાકિસ્તાની અભિનેતાને પસંદ કરો છો. મૂળભૂત રીતે તમે ઘમંડી બનવાનો પ્રયાસ કરી રહ્યા છો, આ રાષ્ટ્રની લાગણીઓ પ્રત્યે બેદરકાર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છો!”

દિલજીત દોસાંઝ રાષ્ટ્રીય સંપત્તિ છે: એસપી સિંઘ

FWICE દ્વારા કરાયેલી આલોચના બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એસપી સિંઘ દિલજીત દોસાંઝના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, “દિલજીત દોસાંઝ માત્ર એક પ્રખ્યાત કલાકાર નથી. તે એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને ભારતીય સંસ્કૃતિના ગ્લોબલ એમ્બેસેડર છે. FWICE દ્વારા અજાણતા અને ઘટના પહેલાના ફિલ્મ શૂટિંગ પર તેમની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ માત્ર અન્યાયી જ નથી પણ આઘાતજનક રીતે અપ્રમાણસર છે.”

ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષોમાં પાકિસ્તાની કલાકારો અને ગાયકોની ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવાની માંગ મજબૂત બની હતી.

આ પણ વાંચો…શું દિલજીત દોસાંઝની સરદાર જી 3 ભારતમાં રિલીઝ નહીં થાય? જાણો વિવાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button