નવી દિલ્હી: ભારતના જગવિખ્યાત ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિનની આત્મકથા ‘આઇ હેવ ધ સ્ટ્રીટ્સ: અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી’ આગામી 10મી જૂને બહાર પડશે.
ભલભલા બૅટરને ચાલાકીથી છટકામાં ફસાવવાની કાબેલિયત ધરાવતો આ સ્પિનર ક્રિકેટ-સ્ટાર બન્યો એ પહેલાં તે મધ્યમ વર્ગના પરિવારો જે સંઘર્ષમાંથી પસાર થાય એવો જ સંઘર્ષ તેણે પણ અનુભવ્યો હતો એમ છતાં તેને પરિવારનો સપોર્ટ મળ્યા હતો અને નાનપણમાં કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તેણે સહન કરી હતી. આ બધા વચ્ચે તેણે ક્રિકેટ-ક્રેઝી ચેન્નઈમાં કરીઅરને ડેવલપ કરી હતી અને વિશ્ર્વ-સ્તર સુધી પહોંચ્યો હતો. તેની ગણના ક્રિકેટજગતના મૅચ-વિનિંગ બોલર્સમાં ગણાય છે.
સિદ્ધાર્થ મોન્ગા નામના લેખકની મદદથી અશ્ર્વિને આત્મકથાને આખરી સ્વરૂપ આપ્યું છે જેમાં અશ્ર્વિને લખ્યું છે, ‘ક્રિકેટર કેવી રીતે બની શકાય અને હું એ કેવી રીતે બન્યો એની સ્ટોરી શૅર કરવામાં હું આનંદ અનુભવી રહ્યો છું. આ પુસ્તક દ્વારા હું ઘણા આશાસ્પદ ક્રિકેટરો માટે પ્રેરણા બની શકીશ એવી મને આશા છે.’
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપે 300 વિકેટ સુધી પહોંચવાની અપ્રતિમ સિદ્ધિ ધરાવતો 37 વર્ષીય અશ્ર્વિન 2011ના વન-ડે વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમમાં હતો. એ ઉપરાંત, તે આઇપીએલના બે ટાઇટલ અને ચૅમ્પિયન્સ લીગ ટી-20નું એક ટાઇટલ પણ જીતી ચૂક્યો છે.
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં અનિલ કુંબલે (619 વિકેટ) પછી અશ્ર્વિન (516) બીજા નંબરે છે. અશ્ર્વિને વન-ડેમાં 156 અને ટી-20માં 72 વિકેટ લીધી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને