હવે આ ફિલ્મના પોસ્ટરને કારણે પરેશ રાવલ વિવાદમાં સપડાયા, જાણો કારણ?

મુંબઈ: હેરા ફેરી ફિલ્મના ત્રીજા ભાગને લઈને અભિનેતા પરેશ રાવલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યા છે. હેરા ફેરી ફિલ્મમાંથી પોતાને બહાર કર્યા બાદ તેઓ ફરી ફિલ્મમાં પાછા આવી ગયા છે. જોકે, હવે તેઓ પોતાની નવી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ને લઈને ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે.
આ ફિલ્મનું તાજેતરમાં પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરને લઈને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પોસ્ટર વિવાદનું કારણ કેમ બન્યું? આવો જાણીએ.

તાજમહેલમાં દેખાયા ભગવાન શિવ
અભિનેતા પરેશ રાવલ તેમની આગામી સમયમાં પોતાની નવી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ને લઈને આવી રહ્યા છે. 29 સપ્ટેમ્બર, 2025ના રોજ આ ફિલ્મનું એક મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં રોષ ફાટી નીકળ્યો છે.
‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મના પોસ્ટરમાં પરેશ રાવલ તાજમહેલનો ગુંબજ ઉપાડતા દર્શાવવામાં આવ્યા છે. જેની નીચેથી ભગવાન શિવની પ્રતિમા ઉભરતી જોવા મળે છે. આવા પોસ્ટરને લઈને યુઝર્સે ફિલ્મ મેકર્સ પર ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
પરેશ રાવલ પર ભડક્યા યુઝર્સ
‘ધ તાજ સ્ટોરી’ના મોશન પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર પરેશ રાવલ શેર કરેલા પોસ્ટરના કોમેન્ટ બોક્સમાં એક યુઝર્સે લખ્યું કે, “પરેશ રાવલ પાસેથી આવી અપેક્ષા નહોતી”
બીજા એક યુઝર્સે આ પોસ્ટરને ‘બકવાસ’ ગણાવ્યું છે અને તેના પર દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે. એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતા કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “સાહેબ, તમારું ખૂબ સન્માન હતું, પણ તમે આ બધું શા માટે કરી રહ્યા છો, ફક્ત થોડા પૈસા માટે?”

ફિલ્મ મેકર્સે પોસ્ટરને લઈને કરી સ્પષ્ટતા
નવા પોસ્ટરને લઈને વિવાદ વકરતા પરેશ રાવલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના નિર્માતાઓની સ્પષ્ટતા જાહેર કરી છે. ફિલ્મ નિર્માતા કંપની સ્વર્ણિમ ગ્લોબલ સર્વિસીસ પ્રા. લિ દ્વારા જણાવાયું છે કે, ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મ કોઈ ધાર્મિક મુદ્દા સાથે સંબંધિત નથી. ભગવાન શિવ તાજમહેલમાં રહે છે તેવો ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો નથી. આ ફિલ્મ ફક્ત ઐતિહાસિક તથ્યો પર આધારિત છે. અમે દર્શકોને વિનંતી કરીએ છીએ કે ફિલ્મ જોતા પહેલા કોઈ નિર્ણય ન લે.
2023માં પણ રિલીઝ થયું હતું પોસ્ટર
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ મેકર્સની આ સ્પષ્ટતા બાદ પણ યુઝર્સનો ગુસ્સો શાંત થયો નથી. ફિલ્મના નિર્માતાઓ પર દેશમાં અશાંતિ ફેલાવવાનો અને ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ યથાવત છે. જોકે, અગાઉ 2023માં આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં તાજમહેલ દેખાઈ રહ્યો હતો. તેની સામે પાણીમાં શિવલિંગનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું.
આ પણ વાંચો…હેરાફેરી 3: અક્ષય, સુનીલ કે પરેશ રાવલ? કોણે લીધી સૌથી વધુ ફી?