કાજોલની કો સ્ટારે કરી આત્મહત્યા, ઘરમાંથી મળી સડેલી લાશ
![kajol co star noor malanika commits suicide](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Noor-Malabika.webp)
ફિલ્મ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં કાજોલ સાથે કામ કરનાર અભિનેત્રી અને કતાર એરવેઝની પૂર્વ એર હોસ્ટેસ નૂર મલબીકા દાસનું નિધન થયું છે. અભિનેત્રી મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. માહિતી અનુસાર, પોલીસે 6 જૂને નૂર મલબીકા દાસનો મૃતદેહ તેના લોખંડવાલા ઘરમાંથી મળ્યો હતો. અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી છે. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે નૂરના પડોશીઓએ ઓશિવારા પોલીસ સ્ટેશનને જાણ કરી. પડોશીઓને નૂરના ફ્લેટમાંથી ભારે દુર્ગંધ આવી રહી હતી. તેથી તેમણે પોલીસને આ મામલે જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ આવીને દરવાજો તોડીને નૂરના ફ્લેટમાં પ્રવેશી હતી. પોલીસને નૂરની સડેલી, ગળેલી લાશ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. અભિનેત્રીના શબને પોસ્ટ મોર્ટમ માટે ગોરેગામની હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. નૂરના પરિવારનો કોઈ સભ્ય મુંબઈમાં નથી.
એમ પણ જાણવા મળ્યું હતું કે જ્યારે પોલીસે નૂરના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈએ ફોન ઉઠાવ્યો નહોતો કે નૂરને ઓળખવાનો દાવો કરવનાર કોઇ આગળ આવ્યું નહોતુ અને કોઈએ તેનો મૃતદેહ લીધો નહોતો. પરિણામે ઓશિવારા પોલીસે લાવારસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરનાર એનજીઓની મદદથી રવિવારે નૂરના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.
નૂર માલવિકા દાસની અંગત જિંદગીની વાત કરીએ તો તે 32 વર્ષની હતી. તે મૂળ આસામની હતી. તેણે ઘણી હિંદી ફિલ્મ અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જેમાં સિસાકિયાં, વોકમેન, તીખી ચટની, જધન્યા ઉપાય, ચરમસુખ, દેખી અનદેખી, બેકરોડ હસ્ટલ’ વગેરેનો સમાવેશ થાય છે.
પાંચેક દિવસ પહેલા નૂરે સોશિયલ મીડિયા પર એક છેલ્લી પોસ્ટ કરી હતી.
નૂર મલબીકા દાસ સોશિયલ મીડિયા પર ઘમી જ એક્ટિવ હતી. તે અવારનવાર તેના ફેન્સને પોતાની માહિતી આપતી રહેતી હતી. પાંચેક દિવસ પહેલા જ તેણે સોશિયલ મીડિયા પર હસતી ખેલતી પોસ્ટ કરી હતી, જેમાં તે ઘણી ખુશખુશાલ દેખાતી હતી અને ત્યાર બાદ અચાનક તેના આત્મહત્યાના સમાચાર જાણવા મળ્યા હતા. નૂરના ફેન્સ તેની આ છેલ્લી પોસ્ટ પર કમેન્ટ લખીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
Also Read –