લગ્ન પછી પણ હેમા માલિની ધર્મેન્દ્રથી કેમ અલગ રહી, જાણો શું હતું કારણ?

મુંબઈ: બોલીવુડના ‘હી-મેન’ તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર છેલ્લાં 10 દિવસથી બ્રીચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 89 વર્ષીય આ અભિનેતાનું જાહેર જીવન થોડું વિવાદોથી ભરેલું હતું. કારણ કે, ધરમપાજીએ બે લગ્ન કર્યા હતા. તેમના પહેલાં પત્ની પ્રકાશ કૌર અને બીજા પત્ની હેમા માલિની છે. બોલીવુડમાં હેમા માલિની અને ધર્મન્દ્રની લવસ્ટોરી ચર્ચાસ્પદ રહી છે. જોકે, હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથેના સંબંધોની વાસ્તવિકતા પોતાના પુસ્તક “હેમા માલિની: બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ” રજૂ કરી છે.
હેમા માલિનીએ ધર્મેન્દ્ર વિશે શું લખ્યું?
“હેમા માલિની: બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ” પુસ્તકમાં હેમા માલિની અને અને ધર્મેન્દ્રના સંબંધોની વાસ્તવિકતા ખુલ્લેઆમ રજૂ કરવામાં આવી છે. ધર્મેન્દ્રના પહેલેથી જ લગ્ન થયેલા હોવા છતાં હેમા માલિનીએ તેમને પસંદ કર્યો. પોતાના આ નિર્ણય પર હેમા માલિનીને ક્યારેય અફસોસ થયો નથી. એવો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
આપણ વાચો: ધર્મેન્દ્રના મોતની ચાલી અફવા, જાણો ઈશા દેઓલ અને હેમા માલિનીએ શું કહ્યું?
હેમા માલિની અને ધર્મેન્દ્ર 1970માં ફિલ્મ “તુ હસીન મેં જવાન” દરમિયાન નજીક આવ્યા હતા. ધર્મેન્દ્ર તે સમયે પ્રકાશ કૌર સાથે પરિણીત હતા અને તેમને ચાર બાળકો હતા, તેથી હેમા માટે આ સફર સરળ નહોતી. ધર્મેન્દ્રના પ્રથમ પરિવારમાં શાંતિ અને આદર જળવાઈ રહે તે માટે તેમણે ધર્મેન્દ્રથી અલગ રહેવાનું પસંદ કર્યું હતું.
હેમા માલિનીએ પુસ્તકમાં જણાવ્યું છે કે, “હું કોઈના જીવનમાં દખલ કરવા માંગતી નહોતી. ધર્મજીએ મારા અને મારી પુત્રીઓ માટે જે કંઈ કર્યું તેનાથી હું ખુશ છું.” હેમાએ સ્વીકાર્યું કે, “મને ઘણીવાર “બીજી સ્ત્રી” કહેવામાં આવતી હતી અને સમાજ દ્વારા આકરી ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી.”
આપણ વાચો: Esha Deol Divorce: ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીના તૂટ્યા લગ્ન
તેઓ મને ખુશ રાખે છે, હું એટલું જ ઈચ્છું છું
સામાજિક ટીકાઓ છતાં હેમા માલિનીએ ધર્મેન્દ્રને પસંદ કરવાના તેના નિર્ણય પર ક્યારેય અફસોસ વ્યક્ત કર્યો નથી. હેમાએ આ અંગે જણાવ્યું કે, “લોકો આંગળી ચીંધતા હતા, તેઓ મારા વિશે વાત કરતા હતા, પરંતુ હું જાણતી હતી કે તેઓ મને ખુશ રાખે છે અને હું બસ એટલું જ ઇચ્છતી હતી.”
હેમા માલિનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે લોકો તેમના લગ્નને જે રીતે જુએ છે, વાસ્તવિકતા તેનાથી અલગ છે. હેમા માલિનીએ પુસ્તકમાં જણાવ્યું છે કે “ધર્મેન્દ્ર તેની પુત્રીઓ (એશા અને આહના) પ્રત્યેની પિતાની ફરજો સારી રીતે સમજે છે અને મારે તેમની ઉપર પોલીસ અધિકારીની જેમ નજર રાખવાની જરૂર નથી.”
ઉલ્લેખનીય છે કે, એક જૂના ઇન્ટરવ્યૂમાં હેમાએ કહ્યું હતું કે, “કોઈ પણ આવું જીવન જીવવા માંગતું નથી, પરંતુ ક્યારેક ભાગ્ય પોતે જ નક્કી કરે છે. મેં ફરિયાદ કરી નથી. હું મારા બાળકોથી ખુશ છું અને તેમનો સારી રીતે ઉછેર કર્યો છે.” વર્ષોની મુશ્કેલીઓ છતાં, હેમા અને ધર્મેન્દ્રનો સંબંધ પરંપરા પર નહીં, પરંતુ સમજણ, આદર અને સાચા પ્રેમ પર મજબૂત રીતે ટકી રહ્યો છે.



