શું ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા અલગ થઈ રહ્યા છે? વાયરલ પોસ્ટ પર પત્નીએ તોડ્યું મૌન…

મુંબઈ: ‘બિગ બોસ 19’ ના વિજેતા અને લોકપ્રિય ધારાવાહિક ‘અનુપમા’ માં અનુજ કાપડિયાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા ગૌરવ ખન્ના હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ હતી કે ગૌરવ અને તેની પત્ની આકાંક્ષા ચમોલા વચ્ચે કંઈક અણબનાવ ચાલી રહ્યો છે અને બંને છૂટાછેડા લેવાના છે. આ અફવાઓને કારણે ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ હવે આકાંક્ષાએ પોતે સામે આવીને આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
થોડા દિવસો પહેલા આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર સંબંધોમાં બલિદાન અને જરૂરિયાતો વિશે એક ગંભીર પોસ્ટ શેર કરી હતી, જેનાથી ચાહકોને લાગ્યું કે તે ગૌરવ સાથેના તેના તૂટતા સંબંધોનો સંકેત આપી રહી છે. જોકે, આકાંક્ષાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી છે કે આ પોસ્ટ કોઈ પર્સનલ મેસેજ નહીં પણ તેના શોના પ્રમોશનનો એક ભાગ હતી. તેણે હસતા હસતા કહ્યું કે, “મને નહોતી ખબર કે લોકો આ વાતને આટલી ગંભીરતાથી લેશે. અમે માત્ર અમારા કામને પ્રમોટ કરી રહ્યા હતા.” આ ખુલાસા બાદ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.
ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા ટીવી જગતના સૌથી પાવરફુલ અને આદર્શ કપલ્સમાંથી એક ગણાય છે. બંનેએ વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા અને આજે એક દાયકા પછી પણ તેમનો બોન્ડ એટલો જ મજબૂત છે. અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની રોમેન્ટિક તસવીરો અને વીડિયો જોતા એવું ક્યાંય પણ લાગતું નથી કે તેમના સંબંધોમાં કોઈ સમસ્યા હોય. આકાંક્ષાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમના છૂટાછેડાની વાતો તદ્દન પાયાવિહોણી છે અને તેઓ સાથે ખૂબ જ ખુશ છે.
ગૌરવ અને આકાંક્ષાના સંબંધોની એક ખાસ વાત એ પણ છે કે લગ્નના 10 વર્ષ પછી પણ તેઓનું કોઈ સંતાન નથી. આ બાબતે આકાંક્ષાએ અગાઉ જણાવ્યું હતું કે તે અત્યારે મધરહુડ માટે તૈયાર નથી અને તેના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ગૌરવ પણ પત્નીના આ નિર્ણયમાં પૂરો સાથ આપે છે. એકબીજાના નિર્ણયોનું સન્માન અને પરસ્પર સમજણને કારણે જ ફેન્સ તેમને ‘આઈડલ કપલ’ માને છે. ગૌરવ હાલમાં તેના નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, જ્યારે આકાંક્ષા પણ પોતાના કામમાં આગળ વધી રહી છે.



