આશા ભોસલેના નિધનની અફવાથી ચાહકો હેરાન, જાણો પુત્ર આનંદે શુ કહ્યું

મુંબઈ: દિગ્ગજ સિંગર આશા ભોસલેના નિધનની અફવાઓએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો. જોકે, આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ આ અફવાઓનું ખંડન કરીને સ્પષ્ટ કર્યું છે કે તેની માતા સંપૂર્ણ સ્વસ્થ છે.
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક ફેસબુક યુઝરે આશા ભોસલેની તસવીર સાથે ખોટી પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં લખ્યું હતું, “પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેનું નિધન, એક સંગીત યુગનો અંત (1 જુલાઈ 2025).” આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ હતી. આ પોસ્ટ બાદ આશાતાઈના ચાહકોમાં ખળભડાટ મચી જવા પામ્યો હતો. પરંતુ આનંદ ભોસલેએ આ ખબરને સંપૂર્ણ ખોટી ગણાવી. તેમણે મીડિયા સાથે વાત કરીને સ્પષ્ટ કર્યું કે આશા ભોસલે સ્વસ્થ છે અને આવી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન જાય.
આશા ભોસલે ગયા મહિને અનેક કાર્યક્રમોમાં સક્રિય હતાં. તેમણે 1981ની ફિલ્મ ‘ઉમરાવ જાન’ના થિયેટર રિ-રિલીઝના પ્રીમિયરમાં હાજરી આપી હતી અને ‘યે ક્યા જગહ હૈ દોસ્તોં’ ગીત ગાયુ હતું. આ પ્રસંગે અભિનેત્રી રેખા પણ તેમની સાથે હતી. આ ઉપરાંત, તેઓ આમિર ખાનની તાજેતરની ફિલ્મ ‘સિતારે જમીન પર’ની સ્ક્રીનિંગમાં પણ જોવા મળ્યા હતા.
આપણ વાંચો: તૃપ્તિ ડીમરીની ‘ધડક 2’નું ટ્રેલર રિલીઝ થયું, યુઝર્સે કહ્યું આતુરતાથી રાહ જોઈએ છીએ…
આશા ભોસલે, દિવંગત ગાયિકા લતા મંગેશકરની બહેન, બોલિવૂડની આઇકોનિક ગાયિકા છે. તેમણે 12,000થી વધુ ગીતો ગાયા છે અને 90થી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. ‘દિલ ચીઝ ક્યા હૈ’, ‘પિયા તૂ અબ તો આજા’, ‘રંગ દે મુઝે રંગ દે’, ‘દમ મારો દમ’ જેવાં ગીતોએ તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યાં. તેમનું સંગીત ભારતીય સિનેમાનો અમૂલ્ય ખજાનો છે.
ઉલ્લેખનીય છે કે, આનંદ ભોસલેના ખંડનથી આશા ભોસલેના ચાહકોને રાહત મળી છે. આવી અફવાઓથી બચવા માટે લોકોએ માત્ર વિશ્વસનીય સ્ત્રોતો પરથી માહિતી લેવી જોઈએ. આશા ભોસલેનું સ્વાસ્થ્ય સારું છે. ચાહકો પણ આશા રાખી રહ્યા છે કે તેમની ઉંમર ખુબ લાંબી થાય અને તેઓ હજુ પણ સંગીતની દુનિયામાં સક્રિય રહે.